Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

મુંબઈના ફેમસ મૂછ્છડ પાનવાલાને ડ્રગ્સ કેસમાં નામ ઉછળતા NCBનું તેડું

સુશાંત કેસમાં ડ્રગ એંગલની તપાસ કરી રહેલી એનસીબીને એક ડ્રગ સપ્લાયરની પૂછપરછ દરમિયાન મૂછ્છડ પાનવાલાનું નામ જાણવા મળ્યું

મુંબઈ, તા.૧૨: મુંબઈના ફેમસ 'મુછ્છડ પાનવાલા'ને નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોનું તેડું આવ્યું છે. સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ બહાર આવેલા ડ્રગ્સના જુદાજુદા કેસ સાથેના કનેકશનમાં મૂછ્છડપાનવાળાને એનસીબીએ સમન્સ મોકલ્યું છે. આ વાતને તેના રિજનલ ડિરેકટર સમીર વાનખેડેએ પણ સમર્થન આપ્યું હતું.

ડ્રગ કાંડમાં બ્રિટિશ નાગરિક કરણ સજનાનીએ પૂછપરછ દરમિયાન મૂછ્છડ પાનવાલાનો કથિત ગ્રાહક તરીકે ઉલ્લેખ કરતાં તેની પૂછપરછ કરવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારતમાં એક વર્ષથી પણ વધુ સમયથી રહેતા સજનાનીની બોલીવુડની એક એકટ્રેસના પૂર્વ મેનેજર રાહિલા ફર્નિચરવાલા અને તેની બહેનની ધરપકડ કરાઈ હતી.

NCBના સૂત્રોના જણાવ્યા અનુસાર, સંજનાની સુશાંતસિંહ કેસ સાથે સંકળાયેલો છે. તે પેડલર અનુજ કેશવાનીનો સપ્લાયર હતો, જેની સુશાંત કેસની તપાસ વખતે ધરપકડ કરાઈ હતી. ખારમાં રહેતો સંજવાની અમેરિકાથી ડ્રગ્સ મગાવીને જુદા-જુદા રાજયોમાં ડિસ્ટ્રિબ્યૂટ કરતો હોવાનો આક્ષેપ છે.

બાતમીના આધારે એનસીબી મુંબઈએ બાંદ્રા વેસ્ટમાં એક કુરિયરવાળાને ત્યાં રેડ કરીને ગાંજાનો જથ્થો સીઝ કર્યો હતો, અને તેના ફોલો-અપ ઓપરેશનમાં સંજવાનીના ખાર સ્થિત ફ્લેટ પર રેડ કરાઈ હતી, અને ત્યાંથી પણ ગાંજો મળી આવ્યો હતો. આખા મુંબઈમાં ભારે નામના ધરાવતા મૂછ્છડ પાનવાલાની શરુઆત અલ્હાબાદ, યુપીના પંડીતશ્રી શ્યામચરણ તિવારી દ્વારા કરવામાં આવી છે. હાલ આ નામ પર તેમના ચાર દીકરા પણ પાનનો ધંધો કરે છે. તેની દુકાન મલબાર હિલ, કેમ્પસ કોર્નર ખાતે આવેલી છે.

છેલ્લા ૪૫ વર્ષથી મૂછ્છડ પાનવાલા મુંબઈમાં કાર્યરત છે અને સામાન્ય લોકો જ નહીં પરંતુ ફિલ્મ સ્ટાર્સ, વેપારીઓ, રાજકારણીઓ પણ તેના ગ્રાહક છે. ૨૦૧૬માં મૂછ્છડ પાનવાલાએ પોતાની વેબસાઈટ શરુ કરીને ઓનલાઈન ઓર્ડર લેવાનું શરુ કર્યું હતું.

(4:21 pm IST)