Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

ડો. મોહન ભાગવતજીનો આજે જન્મદિન

રાજકોટઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલકજી  ડો. મોહનજી ભાગવતનો  આજે જન્મ દિવસ છે. તેઓનો જન્મ ૧૧ સપ્ટેમ્બર ૧૯પ૦ના દિવસે મહારાષ્ટ્રના વિદર્ભના ચંદ્રપુર ગામમાં થયો.  તેમના પિતા મધુકરરાવજી ભાગવત ૧૯૪૪થી ૧૯પ૧ સુધી ગુજરાતમાં સંઘના પ્રાંત પ્રચારક હતા.  તેમની મિષ્ટ વાણી અને મિષ્ટ વ્યવહારે આ  છ વર્ષના ગાળામાં ગુજરાતનાં લગભગ ૧૧પ ગામોમાં સંઘકાર્યની શાખાઓની જાળ પાથરી હતી.  મોહનરાવ ભાગવતે પંજાબરાવ કૃષિ  વિદ્યાપીઠમાંથી વેટરનરી ડોકટરની ઉપાધિ મેળવેલ છે.  ઘરમાં સંઘનું જ વાતાવરણ હતું. માતાજી પણ રાષ્ટ્રસેવિકા સમિતિનું કામ કરતાં.  શિશુવયથી જ મોહનજી સંઘની શાખામાં જવા લાગ્યા.  વર્ષ ૧૯૭પમાં સંઘના પ્રચારક તરીકે નીકળ્યા. એ સમયગાળામાં જ કટોકટી જાહેર થતાં તેમણે ભૂગર્ભવાસ કરીને સંઘકાર્યનું દિશાદર્શન કર્યુ. કટોકટી દરમિયાન પિતાજી, માતાજી અને ભાઈની ધરપકડ થઈ.  મોહનજી ભૂર્ગમાં, એટલે નાના બે ભાઈ બહેને હિંમતથી ઘર સંભાળ્યું અને વ્યવહાર ચલાવ્યો.કટોકટી દૂર થતાં ૧૯૭૭માં નાગપુર અને વિદર્ભ વિભાગ પ્રચારક ૧૯૮૭માં અખિલ ભારતીય સહસરકાર્યવાહની   વર્ષ ૧૯૯૧માં અખિલ ભારતીય શારીરિક શિક્ષણ પ્રમુખની અને વર્ષ ૧૯૯૯માં અખિલ ભારતીય પ્રચારક પ્રમુખની જવાબદારીઓ સોંપાઈ. વર્ષ ર૦૦૦માં સંઘના સરકાર્યવાહ   શેષાદ્રિજીએ શારીરિક નાદુરસ્તીને કારણે નિવૃત્તિ લેતાં મોહનજીને અખિલ ભારતીય સરકાર્યવાહની જવાબદારી સોંપાઈ જે તેમણે ર૦૦૯ સુધી સુપેરે નિભાવી અને હાલ સંઘના સરસંઘચાલકજીની જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓના જન્મદિને અભિનંદન વર્ષા થઇ રહી છે.

(3:49 pm IST)