Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

સરહદે ટેન્શન ઘટાડવા ભારત-ચીન વચ્ચે પ સૂત્રી સમજુતી

મોસ્કોમાં ભારત-ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે અઢી કલાક મંત્રણાઃ બંને દેશો મંત્રણા ચાલુ રાખવા તથા સૈનિકો હટાવવા સંમત : ભારતની સ્પષ્ટ વાત... સીમા પર કોઇ ભુલનું પરિણામ સારૂ નહિ આવેઃ અગાઉની સમજુતીનું કડક પાલન થવું જોઇએ

મોસ્કો, તા.૧૧: વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભરી ટેન્શન વચ્ચે અહિં ભારત અને ચીનના વિદેશમંત્રીઓ વચ્ચે લગભગ અઢી કલાકની મંત્રણા થઇ હતી. વિદેશમંત્રી એસ-જયશંકર અને ચીની સમકક્ષ વાંગ યી વચ્ચેની બેઠક દરમ્યાન સીમા પર તનાવ સમાપ્ત કરવાને લઇને પ સુત્રી સહમતી બની છે. સાથોસાથ બંને પક્ષ એ બાબતે સંમત થયા હતાં કે, વાતચીત ચાલુ રાખવી અને સૈનિકોને હટાવવાની પ્રક્રિયામાં ઝડપ લાવવી બેઠકમાં જયશંકરે કહ્યું હતું કે સીમા પર યથા સ્થિતીમાં ફેરફારનો પ્રયત્ન થવો જોઇએ નહિ. તેમણે સ્પષ્ટ કહ્યું હતું  કે સીમા સાથે જોડાયેલા બધા કરારનું પાલન થવું જોઇએ. બંને નેતાઓ એ બાબતે સહમત હતા કે મતભેદ વિવાદમાં બદલવા ન જોઇએ. ભારતે એમ પણ કહ્યું હતું કે સીમા પર કોઇ ભુલનું પરિણામ સારૂ નહિ આવે.

આ સંલગ્ન એક જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ બંને પક્ષની સેનાઓ પોતાની વાતચીત ચાલુ રાખશે અને પોતાના સ્તર પર તણાવ ઓછો કરવાનો પ્રયત્ન કરશે.

આ પાંચ પોઈન્ટ પર સહમતિ બની...

૧. બંને પક્ષની સેનાઓ પોતપોતાના સ્તરે વાતચીત ચાલુ રાખશે અને પોતાના સ્તરે તણાવ ઓછો કરવાનો પ્રયત્ન કરશે.

૨. સરહદ સંબંધિત મામલાઓ પર વિશેષ પ્રતિનિધિ તંત્ર (SR)ના માધ્યમથી સંવાદ ચાલુ રાખશે.

ભારતીય સેનાનું પરાક્રમ જોઇ પોતાના સૈનિકોથી નારાજ થયા ચીનના રાષ્ટ્રપતિ.

૩. અગાઉની તમામ સમજૂતિઓને ધ્યાનમાં રાખવામાં આવશે.

૪. મજબૂત દ્વિપક્ષીય સંબંધો માટે સરહદે શાંતિ જરૂરી.

૫. સરહદી ક્ષેત્રોમાં શાંતિ માટે વિશ્વાસ કાયમ કરવાના પ્રયત્નોમાં તેજી લાવવામાં આવશે.

જોઈન્ટ સ્ટેટમેન્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે બંને દેશો સરહદી ક્ષેત્રોમાં શાંતિ જાળવવા માટે અગાઉ થયેલી તમામ સમજૂતિઓને ધ્યાનમાં લેશે. વિદેશમંત્રીઓની આ બેઠકમાં બંને પક્ષ સરહદ સંબંધિત મામલા પર વિશેષ પ્રતિનિધિ તંત્રના માધ્યમથી સંવાદ ચાલુ રાખવા પર સહમત થયા છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા કલાકાર અજીત ડોભાલ અને ચીની એફએમના નેતૃત્વમાં એસઆર(SR) સ્તરનું આ તંત્ર વાસ્તિવિક નિયંત્રણ રેખા (LAC) પર છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલા ગતિરોધને લઈને બે વાર મળી ચૂકયું છે. તેના ઉપર પણ સહમતિ વ્યકત કરાઈ છે કે બંને પક્ષ હાલના હાલાત સુધર્યા બાદ સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવા માટે વિશ્વાસ નિર્મિત કરવાના કાર્યોમાં તેજી લાવશે.

તાજા વિવાદ વચ્ચે પહેલીવાર એવું બન્યું છે કે બંને દેશના વિદેશમંત્રીઓએ આ  પ્રકારે બેઠક કરી છે. બેઠકમાં ભારતીય વિદેશમંત્રીએ ભારતનું વલણ સ્પષ્ટ કરી દીધુ. તેમણે સ્વીકાર્યું કે સરહદી વિવાદ જેવા મુદ્દાઓને ઉકેલવામાં સમય જાય છે. પરંતુ એ પણ સ્પષ્ટ કર્યું કે સરહદી વિસ્તારોમાં શાંતિ વગર આગળ વધી શકાય નહીં. વિદેશમંત્રી જયશંકરે એમ પણ કહ્યું કે પૂર્વ લદાખની હાલની ઘટનાઓએ દ્વિપક્ષીય સંબંધોને પ્રભાવિત કર્યા છે અને સમસ્યાનું તત્કાળ સમાધાન બંને દેશોના હિતમાં રહેશે. આ બેઠકમાં ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસરી અને રશિયામાં ભારતના રાજદૂત બાલા વેંકટેશ શર્મા પણ ઉપસ્થિત હતાં.

બંને નેતાઓની મુલાકાતમાં ભારતે કહ્યું કે એલએસી પર ચીની સૈનિકોની કાર્યવાહી માત્ર ચિંતાનો વિષય જ નહીં પરંતુ તે ૧૯૯૩ અને ૧૯૯૬માં ભારત અને ચીન વચ્ચે થયેલા કરારનો ભંગ પણ છે. વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે ચીની સેનાએ અનેક જગ્યાઓ પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી જે સીધી રીતે દ્વિપક્ષીય સંધિઓ અને પ્રોટોકોલનો ભંગ છે.

ભારતે કહ્યું કે તે ઈચ્છે છે કે ચીન સરહદી ક્ષેત્રોના મેનેજમેન્ટ પર અગાઉ થયેલી તમામ સમજૂતિઓનું પાલન કરે અને એ પણ સ્પષ્ટ કર્યું કે ભારતીય સેનાએ હંમેશા સંધિઓ અને પ્રોટોકોલનું પાલન કર્યું છે. બંને નેતાઓ વચ્ચે થયેલી આ મહત્વપૂર્ણ બેઠક બાદ માનવામાં આવી રહ્યું છે કે સૈન્ય કમાન્ડર સ્તર પર સૈનિકોની તૈનાતીને લઈને જલદી કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. ગ્રાઉન્ડ કમાન્ડરોએ ગુરુવારે કોર કમાન્ડર સ્તરની ૬ઠ્ઠા સ્તરની વાર્તા માટે સહમતિ વ્યકત કરી છે.

(11:13 am IST)