Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ધર્મગુરૂ દલાઈ લામા આવતા વર્ષે તાઈવાનના પ્રવાસે જશે

તાઈવાને ધર્મગુરૂ દલાઈ લામા સાથે હાથ મિલાવ્યા

નવી દિલ્હી, તા. ૧૦ : ચીનની વધતી જતી દાદાગીરી સામે હવે તાઈવાન અને તિબેટિયનોના ધર્મગુરૂ દલાઈ લામાએ પણ હાથ મિલાવ્યા છે. દલાઈ લામા અને બીજા તિબેટિયનોનો ભારતે આશ્રય આપ્યો છે. ચીન સામે મોરચો માંડવા માટે દલાઈ લામા આગામી વર્ષે તાઈવાનની મુલાકાત લેવા માટે ઈચ્છુક છે. દલાઈ લામાએ આજે જાહેરાત કરી હતી કે, તાઈવાનના એક સંગઠને આપેલા આમંત્રણ બાદ હું આગામી વર્ષે તાઈવાનની યાત્રા માટે ઈચ્છુક છું.

બીજી તરફ તાઈવાને કહ્યુ છે કે, દલાઈ લામા દુનિયાના પ્રખ્યાત આધ્યાત્મિક ગુરૂ છે અને તેમને નોબેલ પીસ પ્રાઈઝ મળેલુ છે.દલાઈ લામાના સમર્થકો તાઈવાનમાં પણ છે અને તેઓ ઈચ્છે છે કે, દલાઈ લામા ઉપદેશ આપવા માટે તાઈવાનની મુલાકાત લે. તાઈવાન સરકારના પ્રવક્તાએ ભારત અને ચીન વચ્ચેના સંઘર્ષમાં શહીદ થયેલા તિબેટના એક સૈનિકને શ્રધ્ધાંજલિ પણ આપી હતી અને દુખ વ્યક્ત કર્યુ હતુ.

આ પહેલા દલાઈ લામા છેલ્લે ૨૦૦૯માં તાઈવાન ગયા હતા.જોકે શી જિનપિંગે ચીનમાં સત્તા સંભાળ્યા બાદ તેઓ તાઈવાન પહેલી વખત જશે.

(12:00 am IST)