Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

નવરાત્રિ દરમિયાન જાહેરમાં ગરબા નહી

નવરાત્રિના ગરબા - દશેરા - દિવાળી - નૂતનવર્ષ - સંદર્ભે રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર સ્નેહમીલન - શરદપૂનમના તહેવારોની ઉજવણીઃ મૂર્તિની સ્થાપના, પૂજા - આરતી કરી શકાશે પણ ફોટો, મૂર્તિ ચરણ સ્પર્શ, પ્રસાદ વિતરણ કરી શકાશે નહિ : મેળા, રેલી, પ્રદર્શનો, રાવણદહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો ઉપર પ્રતિબંધ : દિવાળી - નવા વર્ષના તહેવારો ઘરમાં પરિવારજનો સાથે જ રહી ઉજવવા

અમદાવાદ તા. ૮ : તહેવારોને લઈને રાજય સરકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આગામી સમયમાં હવે રાજયમાં નવરાત્રિ, દશેરા, દિવાળીને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં ગરબાને લઈને આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં હવે કોઈ પણ જાતના ગરબાનું આયોજન કરી શકાશે નહીં. પરંતુ ગરબી, મૂર્તિની સ્થાપના અને પૂજા – આરતી કરી શકાશે. કોરોના હોવાના કારણે કોઈ પણ ફોટો, મૂર્તિ ચરણ સ્પર્શ, પ્રસાદ વિતરણ કરી શકાશે નહીં. આ માટે સ્થાનિક તંત્રની મંજૂરી આવશ્યક છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બાદ રાજય સરકારે આજે આગામી તહેવારોને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં નવરાત્રિ, દશેરા, દિવાળીને લઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. એક કલાકના કાર્યક્રમમાં ૨૦૦દ્મક વધુ લોકો એકત્ર કરી શકાશે નહીં. રાજયમાં આગામી તહેવારો બેસતા વર્ષ, નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભને લઈને સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. જયારે દશેરા, લોકમેળા, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નવરાત્રિના ગરબા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ, નૂતન વર્ષ સ્નેહમિલન, શરદ પૂનમના તહેવારોની ઉજવણી સંદર્ભે રાજય સરકારે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે. રાજયમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ તેમજ જાહેર આરોગ્ય સુખાકારીના સંદર્ભમાં રાજય સરકારે આગામી તહેવારો, ઉત્સવોની ઉજવણી માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજય સરકારની આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી ૧૬મી ઓકટોબર ૨૦૨૦થી કરવાનો રહેશે. આ નિર્ણય અનુસાર નવરાત્રી દરમિયાન રાજયમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહી. જેથી આ વખતે ખેલૈયાઓનો નોરતાનાં ઓરતા અધૂરા રહ્યા છે.

નવરાત્રી દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી - મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહીં કરી શકાય. આ માટે સ્થાનિક વહીવટી તંત્રની મંજુરી લેવી આવશ્યક રહેશે. ૨૦૦થી વધુ વ્યકિતઓ એકત્રિત થઈ શકશે નહીં, તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે. તમામ એસઓપીનું પાલન અવશ્ય કરવાનું રહેશે.

રાજયભરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે. તદ્દનુસાર છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે ફલોર માર્કિંગ કરવાનું રહેશે. સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે. કોરોના મહામારીમાં થર્મલ સ્કેનર, સેનિટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનીટાઇઝ કરવાના રહેશે. હેન્ડવોશ, સેનિટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે. સમારંભ દરમિયાન થૂકવા તેમજ પાન-મસાલા ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

રાજયના ૬૫થી વધુ વયના વયસ્ક નાગરિકો, ૧૦ વર્ષથી નીચેની વયના બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યકિતઓ આવા સમારંભોમાં ભાગ ન લે તે હિતાવહ છે. જો આવા સમારંભો હોલ, હોટલ, બેન્કવેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળની કેપેસિટીના ૫૦ ટકા કે વધુમાં વધુ ૨૦૦ વ્યકિતની મર્યાદામાં જ યોજી શકાશે. લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં ૧૦૦ વ્યકિતઓ ભાગ લઇ શકશે. મૃત્યુ બાદની અંતિમ ક્રિયા – ધાર્મિક વિધિમાં મહત્તમ ૧૦૦ વ્યકિતઓની મર્યાદા રહેશે.

રાજયમાં આગામી સમયમાં આવનાર તહેવારોમાં દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ નૂતન વર્ષના સ્નેહમિલન, ભાઈ બીજ શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવા સલાહભર્યું છે. આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી આવશ્યક છે. રાજયમાં મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જયાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેના પર પ્રતિબંધ રહેશે. આ સૂચનાઓના ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક-આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરાએ ઉપલબ્ધ થાય તેનો જરૃરી પ્રબંધ પણ કરવાનો રહેશે.

(11:04 am IST)