Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

આઈકાર્ડ ચેક કરી હિન્દુ-શિખ શિક્ષકને અલગ કરી ઠાર કરાયા

શ્રીનગર શાળામાં હુમલાની અંદરની વિગતો સામે આવી : શિક્ષકોએ વિદ્યાર્થીઓ પર ૧૫ ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના સમારોહમાં ભાગ લેવા માટે દબાણ કર્યું હતું

શ્રીનગર, તા.૮ : શ્રીનગરમાં હિન્દુ અને શિખ શિક્ષકને સ્કૂલમાં ઘૂસીને આતંકવાદીઓએ મારી નાંખ્યા બાદ સમગ્ર દેશ હચમચી ગયો છે. હવે આ આતંકવાદી હુમલાની અંદરની વિગતો પણ સપાટી પર આવી રહી છે.

આ ઘટનાને આંખે જોનારા લોકોનુ કહેવુ છે કે, આતંકવાદીઓ ગુરૂવારે સવારે લગભગ સાડા દસ વાગ્યે સ્કૂલમાં ઘુસ્યા હતા. સ્કૂલમાં માત્ર શિક્ષકોનો સ્ટાફ જ મોજુદ હતો, કારણકે હાલમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યુ છે. એ પછી ત્રણ આતંકીઓએ સ્ટાફના તમામ સભ્યોના આઈકાર્ડ ચેક કર્યા હતા. જેથી કોણ કાશ્મીરી મુસ્લિમ છે તે ખબર પડે.

એ પછી આતંકીઓએ ૪૪ વર્ષીય સુપિન્દર કોર અને બીજા શિક્ષક દીપક ચંદને આઈ કાર્ડ જોઈને અલગ કર્યા હતા અને બિલ્ડિંગની બહાર લઈ જઈને તેમના પર ગોળીઓ વરસાવી હતી.

આ ઘટનાની જવાબદારી લેનાર પાકિસ્તાન સમર્થિત લશ્કર એ તોયબા સંગઠનના સહયોગી જૂથ ધ રેઝિટન્ટ ફોર્સે કહ્યુ છે કે, ધર્મ સાથે આ ઘટનાને લેવા દેવા નથી. જેમને નિશાન બનાવાયા હતા તે શિક્ષકોએ વિદ્યાર્થીઓ પર ૧૫ ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના સમારોહમાં ભાગ લેવા માટે દબાણ કર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, સ્કૂલ ટીચર દીપક અને તેમનો પરિવાર ત્રણ દાયકા પહેલા શ્રીનગરથી હિજરત કરી દેવા મજબૂર થયો હતો. આવા લોકોને કેન્દ્ર સરકારે નોકરી આપવાનુ એલાન કર્યુ હતુ અને દીપકની આ યોજના હેઠળ ૨૦૧૮માં નોકરી લાગી હતી. તાજેતરમાં જ તે એક બાળકીનો પિતા બન્યો હતો.

જ્યારે સ્કૂલના પ્રિન્સિપલ સુપીન્દર કોર બે બાળકોની માતા છે. તેમના પતિ જમ્મુ કાશ્મીર બેક્નમાં નોકરી કરે છે.

(7:14 pm IST)