Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

વડાપ્રધાનને પોતાની ઈમેજની જ ચિંતા છે, જવાનોની નહીં : રાહુલ ગાંધી

વીવીઆઈપીઓ માટેના એરક્રાફ્ટની ખરીદી પર કોંગ્રેસ નેતાના પ્રહાર : વડાપ્રધાને પોતાના માટે ૮૪૦૦ કરોડનું વિમાન ખરીદ્યું જેમાં સિયાચીન અને લદાખમાં સૈનિકોને ગરમ કપડા અને જરૂરી ઉપકરણ મળી જાતઃ રાહુલ

નવી દિલ્હી, તા.૮ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ સહિત વીવીઆઈપીની યાત્રાઓ  માટે ૨ વિશેષ વિમાનની ખરીદીને લઈને મોદી સરકાર પર સતત આકરા પ્રહાર કરી રહ્યા છે. તેમણે ગુરુવારે કહ્યું કે વડા પ્રધાન ફક્ત તેમની છબીની જ ચિંતા કરે છે સૈનિકોની નહીં. રાહુલે ટ્વીટ કર્યું હતું કે વડા પ્રધાને પોતાના માટે ૮૪૦૦ કરોડનું વિમાન ખરીદ્યું જેમાંથી સિયાચીન અને લદાખમાં સૈનિકો માટે ગરમ કપડાં અને જરૂરી એસેસરીઝ ખરીદી શકાય એમ હતી. જો કે, ભાજપનું કહેવું છે કે આ વિમાનો ફક્ત વડા પ્રધાન માટે જ નથી અને તેમની ખરીદીની પ્રક્રિયા યુપીએ સરકાર દરમિયાન જ શરૂ થઈ હતી.

રાહુલ ગાંધીએ સિયાચીન અને લદાખમાં તૈનાત ભારતીય સૈનિકો માટે ગરમ વસ્ત્રો અને જરૂરી સાધનસામગ્રીની ખરીદીમાં વિલંબ અંગેના એક સમાચાર અહેવાલનો સ્ક્રીનશોટ શેર કરીને મોદી સરકાર પર હુમલો કર્યો હતો. તેમણે લખ્યું, વડા પ્રધાને પોતાના માટે ૮૪૦૦ કરોડનું વિમાન ખરીદ્યું. એટલામાં તો સિયાચીન-લદાખ સરહદ પર મુકાયેલા આપણા સૈનિકો માટે ઘણું બધું ખરીદી શકાયું હોત - ગરમ કપડાં: ૩૦,૦૦,૦૦૦, જેકેટ્સ, ગ્લોવ્સઃ ૬૦,૦૦,૦૦૦, પગરખાં: ૬૭,૨૦,૦૦૦, ઓક્સિજન સિલિન્ડરઃ ૧૬,૮૦,૦૦૦. વડા પ્રધાન માત્ર તેમની છબીની ચિંતા કરે છે, સૈનિકોની નહીં. આ અગાઉ મંગળવારે પણ રાહુલ ગાંધીએ વીવીઆઈપી માટે વિમાનની ખરીદી પર હુમલો કરતા પંજાબના નૂરપુરમાં કહ્યું હતું કે, 'એક તરફ પીએમ મોદીએ ૮ હજાર કરોડમાં ૨ વિમાન ખરીદ્યા છે. બીજી તરફ, ચીન અમારી સરહદો પર છે અને સરહદોની સુરક્ષા માટે આપણા સુરક્ષાદળોને ભારે ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે.

          ' બીજી તરફ, સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, વીવીઆઈપી વિમાનની પ્રાપ્તિ પ્રક્રિયા યુપીએ સરકારના સમયમાં જ શરૂ થઈ હતી અને મોદી સરકારે તેને તાર્કિક નિષ્કર્ષ પર લઈ લીધું છે. આ સિવાય આ વિમાનો ફક્ત વડા પ્રધાન મોદી માટે નહીં, પરંતુ બાકીના વીવીઆઈપી માટે છે અને તે ભારતીય વાયુસેનાના છે, વડા પ્રધાનના નહીં. આ વિમાન નવા નથી, પરંતુ બોઇંગે વીવીઆઈપી ટ્રિપ્સ માટે કેટલાક ખાસ ફેરફાર કર્યા છે. વીવીઆઈપીની યાત્રા માટે આ બંને વિમાન ખરીદવાની પ્રક્રિયા ૨૦૧૧ માં શરૂ થઈ હતી જ્યારે મંત્રીઓના જૂથની સૂચના પર સચિવોની સમિતિ (સી.એસ.) ની બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે વીવીઆઈપી એરક્રાફ્ટ માટે ઉપલબ્ધ વિકલ્પોનું એક મિનિસ્ટ્રિયલ ગ્રુપ એક્ઝામિન કરશે.  તે જ વર્ષે ઈન્ટર મિનિસ્ટ્રિયલ જૂથની રચના કરવામાં આવી હતી. આઈએમજીની લગભગ ૧૦ વાર બેઠક મળી ચૂકી છે અને ૨૦૧૨ માં તેની ભલામણો રજૂ કરાઈ હતી. વીવીઆઈપી વિમાન માટેના ૨ વિકલ્પો સૂચવવામાં આવ્યા હતા - વીવીઆઈપી માટે હાલના બી ૭૭૭ ઇઆર વિમાનને કન્વર્ટ કરો અથવા નવા વિમાનનો ઉપયોગ કરો જેનો હવાઇ દળ દ્વારા ઓર્ડર તો અપાયો હતો પરંતુ ડિલિવરી થઈ નહતી. બાદમાં હાલના વિમાનમાં જરૂરી પરિવર્તન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. મોદી સરકાર આ વીવીઆઈપી વિમાનની પ્રાપ્તિની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

(7:34 pm IST)