Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

રાજકોટ શહેર-જીલ્લામાં ફરી કોરોનાએ માથુ ઉચકયુઃ વધુ ૮ને ભરખી ગયો

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ ગઇકાલે કોરોનાથી શહેર અને જીલ્લામાં એક મૃત્યુની નોંધઃ કુલ મૃત્યુ આંક ૧૦૫એ પહોંચ્યોઃ શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૧૫૬૩ બેડ ખાલી

રાજકોટ, તા. ૮: કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે રાજકોટ શહેર અને જીલ્લામાં કેસ અને મૃત્યુ આંકનો ગ્રાફમાં સતત વઘ-ઘટ જોવા મળી રહી છે. ગઇકાલે કોરોનાએ પાંચનાં જીવ લીધા હતા. જયારે છેલ્લા ૨૪ કલાકમાં ૮ ના મોત થયા છે. તે સાથે કોરોનાએ છેલ્લા ચાર દિવસમા ૪૭લોકોનાં મૃત્યુ થયા છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક જ મૃત્યુની નોંધ થઇ છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૭ નાં સવારે ૮ વાગ્યાથી તા.૮ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૮ દર્દીઓએ દમ તોડી દીધા હતો.

તંત્રની સતાવાર યાદીમાં કોવીડ-નોન કોવીડ થી શહેર-જીલ્લામાં ૮ નાં મૃત્યુ જાહેર થયા છે. જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી અકે જ મૃત્યુ જાહેર કરવામાં આવતા લોકોમાં ભારે અસમંજસતા ફેલાઇ રહી છે.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૧૫૬૮ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે જયારે  શહેર-જીલ્લામાં સરકારી - ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રવિવારે - ૭, સોમવારે ૧૬, મંગળવારે ૧૧ તથા  બુધવારે  ૫ અને આજે૮નાં મોત થયા છે.

(11:17 am IST)