Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

ભારતીય સેનાની ભરતી પ્રક્રિયામાં સરકાર કરશે મોટા ફેરફારઃ છ માસની તાલીમ- સાડા ત્રણ વર્ષની નોકરીઃ સૈનિકો હવે અગ્નિવીરથી ઓળખાશે

નવી યોજનાની જાહેરાત અઠવાડિયામાં કરવામાં આવશેઃ 4 વર્ષ માટે થશે સૈનિકોની ભરતીઃ ત્રીસ હજાર પગાર

નવી દિલ્‍હીઃ ભારતીય સેનામાં ભરતી પ્રક્રિયામાં મોટા ફેરફાર થશે. આ ભરતી ચાર વર્ષ માટે કરાશે. અઠવાડીયામાં ભરતી પ્રક્રિયાની જાહેરાત કરાશે જેમાં માત્ર 6 મહિનાની તાલીમ અને સાડા ત્રણ વર્ષની નોકરી હશે. જેનો પગાર ત્રીસ હજાર મળશે. હવેથી તેનું નામ અગ્નિપથ રખાયુ છે અને સૈનિકો માટે અગ્નિવીર શબ્‍દ હશે. આ ઉપરાંત રેજિમેન્‍ટ ભરતી સેન્‍ટ્રેલાઇઝ હશે જેમાં જ્ઞાતિ કે સંપ્રદાયને નાબુદ કરવામાં આવશે.

સૈનિકોની ભરતી નવી પોલીસી અનુસાર માત્ર 4 વર્ષ માટે જ થશે અને આ સૈનિકોને અગ્નિવીર કહેવામાં આવશે. આ સૈનિકોને માત્ર 6માસની ટ્રેનિંગ જ આપવામાં આવશે...અને સાડા ત્રણ વર્ષ સેનામાં સેવા આપશે. 250 વર્ષથી વધુ સમયથી  ચાલતી ભારતીય સૈનિકોની ભરતી પ્રક્રિયામાં ફેરફાર થઈ શકે છે. એવી સંભાવના છે કે સરકાર આ અઠવાડિયે સૈનિકોની ભરતીની નવી યોજના શરૂ થઈ શકે છે, જે ભારતીય સેનામાં મોટો ફેરફાર લાવશે.

4 વર્ષ માટે થશે ભરતી-

આ નવી યોજનાની જાહેરાત આ અઠવાડિયે કરવામાં આવશે અને તેનું નામ અગ્નિપથ રખાયું છે. આ અંતર્ગત સૈન્યમાં માત્ર 4 વર્ષ માટે જ સૈનિકોની ભરતી કરવામાં આવશે અને આ જવાનોને અગ્નિવીર કહેવામાં આવશે. આ સૈનિકોને વર્તમાન 9 મહિનાને બદલે માત્ર 6 મહિનાની તાલીમ આપવામાં આવશે અને ત્યારબાદ તેઓ સાડા ત્રણ વર્ષ સુધી સેનામાં સેવા આપશે એટલે કે ભરતીથી નિવૃત્તિ વચ્ચે 4 વર્ષની આર્મીની નોકરી હશે. સૈનિકોને દર મહિને લગભગ 30000 રૂપિયા પગાર મળશે, જે સૈનિકોને આપવામાં આવતા વર્તમાન પગાર કરતાં વધુ છે. દર મહિને સૈનિકના પગારમાંથી એક ભાગ કાપીને ડિપોઝિટમાં રાખવામાં આવશે. સરકાર સૈનિકના ખાતામાં પણ એટલી જ રકમ જમા કરશે. આ રકમ જે 10-11 લાખ હશે, તેને નિવૃત્તિ સમયે એકસાથે મળશે.

25 ટકા સૈનિકને મળશે કાયમી નોકરી-

સૈનિકને નિવૃત્તિ પછી કોઈ પેન્શન નહીં મળે. સૈનિકને સેવા દરમિયાન ITI જેવા પ્રોફેશનલ કોર્સ કરવાની તક પણ મળશે, જેની નિવૃત્તિ પછી નવી નોકરીમાં જરૂર પડશે. કોર્પોરેટ સેક્ટરમાં નવી નોકરીઓ માટે મોટી કંપનીઓનિવૃત્ત સૈનિકોનો સંપર્ક કરે છે અને મહિન્દ્રા સહિતની ઘણી કંપનીઓએ ટેકનિકલી પ્રશિક્ષિત અગ્નિશામકોમાં રસ દાખવ્યો છે. આમાંથી 25 ટકા સૈનિકોને તેમના પરફોર્મન્સ અનુસાર સેનામાં કાયમી નોકરીની તક પણ આપવામાં આવશે.દર વર્ષે મોટાભાગના જૂના સૈનિકો સેનામાંથી નિવૃત્ત થશે અને નવા યુવાન સૈનિકોને તક મળશે. ભારતીય સેનાની સંખ્યા લગભગ 13 લાખ છે અને તેમાંથી મોટી સંખ્યામાં નીચલા રેન્કના સૈનિકો છે. આ સૈનિકો લશ્કરી કાર્યવાહી માટે જવાબદાર છે.

નિયમમાં થશે બદલાવ-

વર્તમાન ભરતી પ્રક્રિયામાં, સૈનિકો તેમના રેન્ક અનુસાર 40 કે તેથી વધુ વર્ષની વયે નિવૃત્ત થાય છે. પરંતુ આ રીતે સેનામાં યુવાન સૈનિકોની નવી ભરતી થતી નથી અને સૈનિકોની સરેરાશ ઉંમર પણ વધે છે. નવી પ્રક્રિયા આ સમસ્યાનો સામનો કરવામાં મદદ કરશે. ઉપરાંત  રેજિમેન્ટમાં ભરતી અખિલ ભારતીય સ્તરે કરવામાં આવશે. અંગ્રેજોના સમયથી ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં સેનાની ભરતીમાં અમુક જાતિ કે ધર્મને પ્રાથમિકતા આપવામાં આવતી હતી. હવે ભરતીમાં આવી જ્ઞાતિઓની પ્રાથમિકતા પણ નાબૂદ થઈ શકે છે.

(5:40 pm IST)