Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

હવે દર મહિને જીએસટી નહીં ભરવુ પડેઃ વેપારીઓને મોટી રાહતઃ અમુક નિયમોને આધીન કરદાતાઓએ વાર્ષિક 24ની જગ્‍યાએ માત્ર 8 રિટર્ન જ ભરવાના રહેશેઃ જાન્‍યુઆરી-2021થી આ સિસ્‍ટમ લાગુ થશે

નવી દિલ્હી: સોમવારે થયેલી GST કાઉન્સિલની બેઠકમાં વેપારીઓને રાહત આપવા માટે અનેક મહત્વના નિર્ણય લીધા. કાઉન્સિલે નાના વેપારીઓને ટેક્સ રિટર્ન ભરવામાં મોટી રાહતની જાહેરાત કરી છે. હવે કરદાતાઓએ વારષિક 24 રિટર્નની જગ્યાએ માત્ર 8 રિટર્ન જ ભરવાના રહેશે. રિટર્ન ફાઈલિંગમાં આધારને જરૂરી કરવામાં આવ્યું છે.

માસિક રિટર્નમાંથી છૂટકારો

GST કાઉન્સિલની બેઠકમાં નાના વેપારીઓને માસિક રિટર્ન ભરવામાંથી રાહત આપવાનો નિર્ણય લેવાયો છે.નાણા સચિવ અજય ભૂષણ પાંડેએ કહ્યું કે 1 જાન્યુઆરી 2021થી જે કરદાતાઓનું ટર્નઓવર 5 કરોડ રૂપિયાથી ઓછું છે, તેમને માસિક રિટર્ન ફાઈલ કરવાની જરૂર રહેશે નહીં. માત્ર ત્રિમાસિક આધાર પર રિટર્ન ભરવાનું રહેશે.

દર મહિને જમા કરવું પડશે ચલણ

જો કે આ લોકોએ ચલણની ચૂકવણી દર મહિને કરવી પડશે. આ ચલણમાં વધુ પડતી વિગતો આપવાની જરૂર નથી. કોઈ પણ એક્સપર્ટ અને ખાતાની ડિટેલ વગર જ આ ચલણોના પૈસા જમા કરાવી શકાય છે.

24ની જગ્યાએ હવે ફક્ત 8 રિટર્ન

નવી રાહત હેઠળ કરદાતાઓએ પ્રથમ ત્રિમાસિકના કુલ ટેક્સના માત્ર 35 ટકા ટેક્સ જ જમા કરવાનો રહેશે અને ત્રીજા મહિને તેઓ ટેક્સની વાસ્તવિક રકમ જમા કરાવી શકે છે. અત્યાર સુધીની પ્રેક્ટિસ મુજબ એક કરદાતાએ એક વર્ષની અંદર 24 રિટર્ન દાખલ કરવા પડતા હતા. આ રાહત બાદ હવે કરદાતાએ ફક્ત 8 રિટર્ન ફાઈલ કરવાના રહેશે.

રિટર્ન ફાઈલ કરવામાં આધાર જરૂરી

જીએસટી રિફંડના મામલાઓમાં પહેલી જાન્યુઆરી 2020થી ફક્ત તે જ કંપનીઓને રિફંડ અપાશે જેમના બેંક ખાતા પાન અને આધાર નંબર સાથે લિંક હશે. જીએસટી કાઉન્સિલે રિફંડ એપ્લિકેશનને આધાર સાથે લિંક કરવાનો નિર્ણય કર્યો છે. કોઈ કરદાતા જેવું જીએસટી રિટર્ન ફાઈલમાં આધાર નંબરનો ઉલ્લેખ કરશે, એક ઓટીપી તેના રજિસ્ટર્ડ નંબર પર આવશે. આ ઓટીપી નંબરને નોંધ્યા  બાદ રિટર્ન ફાઈલ સાઈન થઈ જશે.

HSN કોડ લખવો જરૂરી

જે કરદાતાઓનું ટર્નઓવર વાર્ષિક 5 કરોડ રૂપિયાથી વધુ છે, તેમને એપ્રિલ 2021થી 6 અંકવાળો એચએસએન  (Harmonized System of Nomenclature) કોડનો ઉલ્લેખ કરવો જરૂરી રહેશે. જે લોકોનું ટર્નઓવર વાર્ષિક 5 કરોડ રૂપિયાથી ઓછું હશે તેમણે HSN કોડના 4 આંકનો ઉલ્લેખ કરવાનો રહેશે. 

(4:55 pm IST)