Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

એલજેપી નીતીશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી નહીં લડે

ભાજપ પાર્ટી સાથે ગઠબંધન રહેશે! : બેઠકમાં ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો, બેઠકમાં એલજેપી-ભાજપ સરકારનો પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો

નવી દિલ્હી,તા.૪ : બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેરથી ગઈ છે. પરંતુ હજુ સુધી એનડીએ ગઠબંધન વચ્ચે સીટોની વહેંચણી થઈ શકી નથી. લોક જનશક્તિ પાર્ટી સીટ વહેંચણીને લઈને સતત દબાવ બનાવી રહી છે, પરંતુ તેને સફળતા ન મળતા હવે એનડીએથી અલગ થવાનો નિર્ણય લઈ લીધો છે. આજે યોજાયેલી પાર્ટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, એલજેપી નીતીશ કુમારની આગેવાનીમાં એનડીએ સાથે મળીને ચૂંટણી લડશે નહીં. ચૂંટણી પહેલા એનડીએમાં ફૂટ પડી છે. લોક જનશક્તિ પાર્ટીએ રવિવારે નિર્ણય લીધો કે પાર્ટી એનડીએ ગઠબંધન તરફથી નીતીશ કુમારની આગેવાનીમાં વિધાનસભા ચૂંટણી લડશે નહીં. પાર્ટી 'બિહાર ફર્સ્ટ બિહારી ફર્સ્ટ' નારાની સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. પરંતુ પાર્ટીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું છે. સૂત્રો પ્રમાણે પાર્ટી અધ્યક્ષ ચિરાગ પાસવાનની અધ્યક્ષતામાં લોજપા સંસદીય બોર્ડની બેઠકમાં ભાજપની સાથે ગઠબંધનના પક્ષમાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો અને કહ્યું કે, તેના ધારાસભ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથને મજબૂત કરવા માટે કામ કરશે.  ભાજપે પહેલા જ જાહેરાત કરી હતી કે એનડીએ બિહાર ચૂંટણી મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વમાં લડશે. તેવામાં રાજ્યમાં એલજેપીનું એનડીએ સાથે ગઠબંધન તૂટી શકે છે. પરંતુ કેન્દ્રમાં ભાજપની સાથે ગઠબંધન યથાવત રહી શકે છે. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિ વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોને અંતિમ રૂપ આપવા માટે આજે સાંજે બેઠક કરી રહી છે. બિહાર ચૂંટણી માટે ૨૮ ઓક્ટોબરે પ્રથમ તબક્કાનું મતદાન થશે.

(8:18 am IST)