Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ભારત, યુએસ, ઓસ્ટ્રેલિયા, જાપાન માલાબાર યુધ્ધાભ્યાસ

ચીનની વિસ્તરણવાદી મહાત્વાકાંક્ષાથી ક્વાડ દેશો ફરી એક : પશ્ચિમ બંગાળની ખીણમાં યુધ્ધાભ્યાસનો બીજો તબક્કો અરબી સમુદ્રમાં ૧૭થી ૨૦ નવેમ્બર દરમિયાન યોજાશે

નવી દિલ્હી, તા. ૪ : ચીને પોતાની વિસ્તરણવાદી મહત્વાકાંક્ષા દર્શાવી અને ક્વાડ દેશોને ૧૩ વર્ષ પછી ફરી એકવાર એક કર્યા છે. ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા બંગાળની ખાડીમાં માલાબાર યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે. સમાન વિચારસરણીના બીજા દેશ, જર્મનીએ પણ આંતરરાષ્ટ્રીય નિયમોના આધારે દરિયાઇ વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા માટે આગામી વર્ષથી હિંદ-પેસિફિક મહાસાગરમાં પેટ્રોલિંગ માટે યુદ્ધ જહાજ તૈનાત કરવાની જાહેરાત કરી છે.

મંગળવારે ૨૪ મી મલબાર નૌકાદળના યુદ્ધાભ્યાસનું પ્રથમ તબક્કાના ભાગ રૂપે ચાર દિવસ માટે ક્વાડ દેશોના યુદ્ધ જહાજો બંગાળની ખાડીમાં ઉતર્યા હતા. આ તબક્કામાં જટિલ વિરોધી સબમરીન યુદ્ધ અને અન્ય દાવપેચ ચાલુ છે. તેનો બીજો તબક્કો અરબી સમુદ્રમાં ૧૭ થી ૨૦ નવેમ્બર દરમિયાન યોજાશે, જેમાં ઉચ્ચ યુદ્ધાભ્યાસ કરવામાં આવશે. યુ.એસ. આ તબક્કે અમેરિકા પરમાણુ સંચાલિત વિમાનવાહક જહાજ તહેનાત પણ કરશે. અરબી સમુદ્રમાં મિગ -૨૯ યુદ્ધ વિમાનો સાથે ભારત આઈએનએસ વિક્રમાદિત્ય પણ તૈનાત કરશે. તેના યુદ્ધ જહાજો, સબમરીન અને લાંબા અંતરના પેટ્રોલ એરક્રાફ્ટ પી -૮ આઇ પ્રથમ તબક્કાના યુદ્ધાભ્યાસમાં ભાગ લઈ રહ્યા છે.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, *ક્વાડ સ્પષ્ટ રીતે ચીન તરફના તેના ઇરાદાને સ્પષ્ટ કરી રહ્યું છે.* ક્વાડની આ ઉચ્ચ-કક્ષાની યુદ્ધ કવાયતનું મહત્ત્વ પણ વધે છે કારણ કે પૂર્વી લદ્દાકમાં ભારત અને ચીનના સૈનિકો છેલ્લા સાત મહિનાથી સામ-સામે ઊભા છે. ક્વાડના નવા સભ્ય તરીકે ૨૦૦૭માં ઓસ્ટ્રેલિયા મલબાર યુદ્ધાભ્યાસનો ભાગ બન્યો. ત્યારબાદ ચીને તેની ટીકા કરી હતી. તેમણે આ યુદ્ધાભ્યાસને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં 'ચીનને લડત આપવા અને અટકાવવા' માટેના વિચાર સાથે 'લોકશાહી દેશો દ્વારા' એકતરફી પહેલ ગણાવી હતી. ચીનની આ ટિપ્પણી બાદ ઓસ્ટ્રેલિયા પાછું હટી ગયું હતું. ત્યારથી ભારત યુ.એસ. સાથે દ્વિપક્ષીય સ્વરૂપ હેઠળ કેટલાક વર્ષોથી માલાબાર યુદ્ધાભ્યાસ ચલાવી રહ્યું છે. જો કે, ૨૦૧૫ થી જાપાન આ યુદ્ધાભ્યાસનો સતત ભાગીદાર બન્યો છે.

૧૩ વર્ષ પછી, જ્યારે ચીન યુદ્ધ જહાજો અને ટેક્નોલોજીની દ્રષ્ટિએ યુએસને પછાડીને વિશ્વની સૌથી મોટી નૌકા શક્તિ બની છે, ત્યારે તેણે દક્ષિણ ચીન સમુદ્રથી હિંદ મહાસાગર સુધીના વિસ્તારોમાં પણ પોતાની શક્તિ દર્શાવવાનું શરૂ કર્યું હતું. ક્વાડની સાથે, જર્મની અને યુકે જેવા દેશો પણ આ ક્ષેત્રમાં ચીન દ્વારા વધતી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમજ, ચીને માલાબાર કવાયત પર કડક પ્રતિક્રિયા આપી અને આશા વ્યક્ત કરી કે આ કાર્યક્રમ પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા સાથે સુસંગત રહેશે. વર્ષ ૨૦૧૬ થી ભારતે યુએસ, ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે પરસ્પર લશ્કરી પદ્ધતિઓ પર કરાર કર્યા છે જે હિંદ મહાસાગરમાં ત્રણેય દેશોના યુદ્ધ જહાજોની તહેનાતી સુનિશ્ચિત કરે છે.

માલાબાર કવાયતના પહેલા તબક્કામાં ભારતે આઈએનએસ રણવિજય, સ્ટીલ્થ ફ્રિગેટ આઈએનએસ શિવાલિક, ઓફશોર પેટ્રોલ જહાજ આઈએનએસ સુકન્યા, ફ્લિટ સપોર્ટ જહાજ આઈએનએસ શક્તિ અને સબમરીન આઈએનએસ સિંધુરાજ તૈનાત કર્યા છે. તેમજ, યુ.એસ., ઓસ્ટ્રેલિયા અને જાપાન અનુક્રમે માર્ગદર્શક-મિસાઇલ વિનાશક યુ.એસ.એસ. જ્હોન એસ. મેકેન, લોંગ રેન્જ ફ્રીગેટ એચએમએએસ બેલારેટ અને વિદ્વંસક જેએસ ઓનામીને તૈનાત કર્યા છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, માલાબાર ૨૦૨૦માં જટિલ અને ઉચ્ચ યુદ્ધાભ્યાસ કરવામાં આવશે જેમાં દરિયાની સપાટી, પેટાળમાં સબમરીન વિરોધી અને હવામાં મિસાલઇ એરક્રાફ્ટ વિરોધી યુદ્ધ કામગીરી, ક્રોસ ડેક ફ્લાઇંગ, સીમેનશીપ ઇવોલ્યુશન અને શસ્ત્ર ફાયરિંગની કવાયત હાથ ધરવામાં આવશે.

(7:43 pm IST)