News of Thursday, 2nd September 2021
મદુરાઈ, તા.૨: ૩૧ રુપિયાની ઉચાપતમાં દોષિત ઠરેલા બસ કન્ડકટરને નોકરી પર ના રાખી શકાય તેવો મદ્રાસ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. આ કંડકટરને આજથી ૩૨ વર્ષ પહેલા નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. તેણે અગાઉ ઈશ્યૂ થઈ ગયેલી ટિકિટને જ ફરી ઈશ્યૂ કરી ૩૧ રુપિયાની ગોલમાલ કરી હતી. જે ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર આવી જતાં કંડકટરે નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે, વર્ષો બાદ પણ તેને હાઈકોર્ટે પણ રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે.
કંડકટરે તેને નોકરીમાંથી કાઢી મૂકવાના નિર્ણયને પહેલા લેબર કોર્ટમાં પડકાર્યો હતો. જોકે, ત્યાં તેની વિરુદ્ઘમાં ચૂકાદો આવ્યો હતો. ત્યારબાદ તેણે હાઈકોર્ટમાં અપીલ કરીને પોતાને નોકરીમાં પરત લેવામાં આવે તેવી માગ કરી હતી. જોકે, કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આઠ વર્ષની સુનાવણીના અંતે અરજદારની વિરુદ્ઘમાં ચુકાદો આપતા જણાવ્યું હતું કે ગુનાની ગંભીરતાને જોતા તેમને નોકરી પર પરત લઈ શકાય નહીં.
જસ્ટિસ એસ.એસ. સુંદરે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, ઉચાપતની રકમ ભલે મામૂલી હોય, પરંતુ વિશ્વાસદ્યાત એક ગંભીર ગણી શકાય તેવી બાબત છે. અરજદારે જે રીતે ગફલત કરી છે તેને ગંભીર ગણી શકાય તેવી છે. જેથી તેમને નોકરી પર પરત લેવાનો કોર્ટ આદેશ આપી શકે તેમ નથી. ૧૯૮૯માં પેસેન્જર બસમાં ફરજ બજાવી રહેલા ચેલ્લાદુરાઈ નામના કંડકટરે એકની એક ટિકિટ પેસેન્જરને ફરી આપવાનું ચેકિંગ ઈન્સ્પેકટરે પકડી પાડ્યું હતું, અને આમ કરીને કંડકટરે ૩૧ રુપિયાની કટકી કરી હતી.
આ ગેરરીતિ બદલ કંડકટર ચેલ્લાદુરાઈ સામે ખાતાકીય તપાસ શરુ કરવામાં આવી હતી. તેના પર મૂકાયેલા આરોપમાં તથ્ય જણાતા ૧૯૯૧માં તેને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. તેણે સરકારના નિર્ણય સામે લેબર કોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ ત્યાં તેને રાહત નહોતી મળી. ત્યારબાદ ૨૦૧૩માં તે મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચમાં ગયો હતો. કોર્ટે ચેલ્લાદુરાઈ વિરુદ્ઘ ચુકાદો આપતા જણાવ્યું હતું કે, અરજદાર પોતાની વિરુદ્ઘ લાગેલા આરોપ સામે યોગ્ય રીતે ખુલાસો આપી શકયા નથી. તેવામાં કોર્ટ તેમની વિરુદ્ઘ લેવાયેલા શિસ્તભંગના પગલાંમાં કોઈ દખલ ના કરી શકે.