Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

લગ્ન માટે છોકરી શોધવાનો કેરળના યુવકનો આઇડિયા કામ કરી ગયો : ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાથી આવવા લાગ્યા ફોન

કેરળના વલ્લચીરાના ૩૩ વર્ષીય એન એન ઉન્નીક્રિષ્નન કોઈ વચેટિયા વગર જાતે જ જીવનસાથી શોધવા માંગે છે

નવી દિલ્હી,તા.૨: અમુક વર્ષો પહેલાં લોકો તેમના જીવન સાથીને શોધવા માટે સ્થાનિક દલાલ અથવા મેરેજ બ્યુરોનો સંપર્ક કરતા હતા. ત્યારે કેરળના વલ્લચીરાના ૩૩ વર્ષીય એન એન ઉન્નીક્રિષ્નન કોઈ વચેટિયા વગર જાતે જ જીવનસાથી શોધવા માંગે છે. જેને લઈને તેણે પોતાની દુકાન બહાર એક સાઈનબોર્ડ લગાવ્યું છે, જેમાં લખ્યું હતું, 'જીવન સાથીની શોધ છે. જાતિ કે ધર્મ કોઈ મુદ્દો નથી'. જયારે તેના કોઈ મિત્રએ સાઈનબોર્ડની તસવીર ઓનલાઈન અપલોડ કરી, તો તે વાયરલ થઈ ગઈ અને ઉન્નીક્રિષ્ણનને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડથી કોલ આવવા લાગ્યા હતા.

જોકે, ઉન્નીક્રિષ્નને આ સોશિયલ મીડિયા પોસ્ટ પર વધારે ધ્યાન ન આપીને વલ્લચિરામાં તેની દુકાનમાં વ્યસ્ત છે. અહીં તે તેને મળેલા લગ્ન પ્રસ્તાવોને સુલઝાવી રહ્યો છે. તેણે કહ્યું કે, 'પહેલાં હું દૈનિક વેતન પર કામ કરતો હતો. મારી ખોપરીમાં ગાંઠ હોવાને કારણે મેં સર્જરી કરાવી હતી. સર્જરી બાદ હું સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો હતો, ત્યારબાદ મેં જીવનમાં સ્થાયી થવાનું વિચાર્યું હતું. જેથી મેં ફેબ્રુઆરીમાં મારા દ્યરની નજીક લોટરીની દુકાન ખોલી. કેટલાક દિવસો પછી મેં ચાની દુકાન પણ ચાલુ કરી, જે આ દિવસોમાં સારો વ્યવસાય છે. હવે, મારે જીવન સાથી જોઈએ છે, પરંતુ હું દલાલને સંપર્ક કરવાની પરંપરાગત શૈલીમાંથી પસાર નથી થવા માંગતો, હું સારા જન્માક્ષરવાળા પાત્રની રાહ જોઈ રહ્યો છું. આ પહેલા મારા મિત્રો અને પરિવારના સભ્યોએ મારા માટે યુવતીની શોધ આદરી હતી, પરંતુ મેળ ન પડતાં મેં મારી ચાની દુકાન બહાર સાઈનબોર્ડ લટકાવવાનું વિચાર્યું હતું.'

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસ્વીર ઉન્નીના મિત્ર સાજી એડાપીલીએ કિલક કરી હતી. આ અંગે ઉન્નીએ જણાવ્યું કે, 'મને દૂરના દેશોમાં રહેતા મલયાલીઓ તરફથી ફોન આવ્યા.' જેમાં લગ્નના પ્રસ્તાવ ઉપરાંત ઘણા લોકોએ ઉન્નીકૃષ્ણનને તેના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી. તેમજ જીવનસાથીની શોધ કરતી વખતે જાતિ અને ધર્મના નિયમોને ન માનવા બદલ દ્યણા લોકોએ તેની પ્રશંસા કરી હતી. રસપ્રદ વાત એ છે કે, એક વ્યકિતએ ઉન્નીકૃષ્ણનને ફોન કરીને સોશ્યલ મીડિયા પર લાઇફ પાર્ટનર શોધવા બદલ તેને ઠપકો પણ આપ્યો હતો.

તેણે કહ્યું કે, 'આજકાલ, મને ઘણા લોકોના ફોનનો જવાબ આપવા માટે સમય નથી મળી રહ્યો.' ઉન્નીકૃષ્ણનને એવા લોકોના ફોન પણ આવ્યા જેઓ ઇચ્છતા હતા કે તેઓ તેમની પર્સનલ ડિટેલ્સ શેર કરે, જેથી તેઓ તેના માટે લાઈફ પાર્ટનર શોધી શકે. આ અંગે તેણે કહ્યું કે, 'મેં પહેલાથી જ આવા કોલ કરનારાઓને કહ્યું હતું કે લોકોની વ્યકિતગત વિગતો ઓનલાઇન શેર કરવી યોગ્ય નથી.'

(10:34 am IST)