Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

'પાણી પુરી'ને લઈ પતિ સાથે ઝઘડો થયા બાદ પત્નીએ કરી આત્મહત્યા

પુણે,તા. ૨: 'પાણી પુરી'ને લઈ પતિ સાથે ઝઘડો થયા બાદ પત્નીએ ઝેર પીને જીવનનો અંત આણ્યો હોવાની ઘટના અંબેગાંવ ખાતે બની હતી. પત્નીએ ઘરે જમવાનું બનાવ્યું હોવા છતાં પતિ બહારથી 'પાણી પુરી' લઇ આવ્યો હતો, જેને કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો.

પ્રતીક્ષા સર્વદે (૨૩)નાં લગ્ન અંબેગાંવના રહેવાસી ગહિનીનાથ સર્વદે (૩૩) સાથે ૨૦૧૯માં થયાં હતાં અને લગ્ન બાદ ઘરેલું બાબતોને લઇ દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.ગયા શુક્રવારે પત્નીને કહ્યા વિના પતિ બહારથી 'પાણી પુરી' લઇ આવ્યો હતો. જોકે પત્નીએ ઘરે જમવાનું બનાવી રાખ્યું હતું. આથી દંપતી વચ્ચે ઝઘડો થયો હતો.

બીજે દિવસે પત્નીએ ઝેર ગટગટાવતાં તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાઇ હતી, જયાં સારવાર દરમિયાન રવિવારે તેનું મૃત્યુ થયું હતું, એમ ભારતી વિદ્યાપીઠ પોલીસ  સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. દરમિયાન આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે સોમવારે પતિ સામે આત્મહત્યા માટે પ્રવૃત્ત્। કરવાનો ગુનો દાખલ કર્યો હતો. જોકે આ કેસમાં હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી ન હોવાનું અધિકારીએ કહ્યું હતું.

(10:29 am IST)