Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

ભાજપે સુભાષ ચંદ્રાને કોંગીના પ્રમોદ તિવારી સામે ઊતાર્યા

રાજ્યસભાની ચૂંટણીમાં બે મીડિયા દિગ્ગજોની એન્ટ્રી ઃ રાજસ્થાનમાં ૪ બેઠકોમાંથી કોંગ્રેસ ૨ અને ભાજપ એક બેઠક જીતવાની સ્થિતિમાં ઃ ચોથી બેઠક માટે રસાકસી

નવી દિલ્હી, તા.૧ ઃ રાજ્યસભાની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ ૨ મીડિયા દિગ્ગજોની એન્ટ્રી થતાં ૨ રાજ્યો રાજસ્થાન અને હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની સ્પર્ધાને રસપ્રદ બનાવી દીધી છે. જી ગ્રુપના ચેરમેન અને ઉપલા ગૃહના સભ્ય સુભાષ ચંદ્રાએ રાજસ્થાનથી ભાજપના સમર્થન સાથે ઉમેદવારી નોંધાવી છે. રાજસ્થાનમાં ૪ બેઠકોમાંથી કોંગ્રેસ ૨ અને ભાજપ એક બેઠક જીતવાની સ્થિતિમાં છે. ચોથી બેઠક માટે સુભાષ ચંદ્રા કોંગ્રેસના પ્રમોદ તિવારીને પડકાર આપશે. કથિત રીતે ભાજપ રાજસ્થાનની સત્તાધારી કોંગ્રેસમાં વધી રહેલા અસંતોષ અને અશોક ગેહલોત વિ.સચિન પાયલટ વચ્ચેના યુદ્ધનો ફાયદો ઉઠાવવા માંગે છે.

રાજ્યસભાના ઉમેદવારો રણદીપ સુરજેવાલા,મુકુલ વાસનિક અને પ્રમોદ તિવારીની પસંદગીને લઈને રાજસ્થાન કોંગ્રેસમાં નારાજગી છે. સ્થાનિક ધારાસભ્યો દ્વારા આ ત્રણેય ઉમેદવારોને બહારના તરીકે જોવામાં આવી રહ્યા છે. ભાજપે ઘનશ્યામ તિવારીને ઉમેદવાર બનાવ્યા છે સાથે જ વસુંધરા રાજે કેબિનેટ મંત્રી રહી ચૂકેલા છે.

તમને જણાવી દઈએ કે, ૨૦૦ સભ્યોની રાજસ્થાન વિધાનસભામાં દરેક ઉમેદવારને જીતવા માટે ૪૧ વોટની જરૃર છે. રાજ્યમાં કોંગ્રેસના ૧૦૮ અને ભાજપના ૭૧ ધારાસભ્યો છે. ભાજપ પાસે બીજી સીટ માટે ૩૦ સરપ્લસ વોટ છે તેથી તેને ૧૧ વધારાના વોટની જરૃર પડશે. બીજી તરફ કોંગ્રેસને ત્રીજી સીટ જીતવા માટે ૧૫ વધારાના વોટની જરૃર પડશે. આવી સ્થિતિમાં અપક્ષો અને નાના પક્ષોની ભૂમિકા જીતની દૃષ્ટિએ મહત્વની રહેશે. રાજસ્થાનમાં ૧૩ અપક્ષ ધારાસભ્યો છે. જેમાં ૨ નેશનલ ડેમોક્રેટિક પાર્ટીના, ૨ ભારતીટ ટ્રાઈબલ પાર્ટી અને ૨ સીપીએમના છે.

ભાજપ શાસિત હરિયાણા રાજ્યમાં એક સીટ માટે કોંગ્રેસને

આકરી લડાઈનો સામનો કરવો પડશે. રાજ્યમાંથી આઈટીવીનેટવર્કના મેનેજિંગ ડિરેક્ટર રાજ્યસભાની ચૂંટણી લડવા તૈયાર છે. તેમના પ્રવેશથી કોંગ્રેસના અજય માકન માટે મુશ્કેલી વધી શકે છે. કાર્તિકેય કોંગ્રેસના પૂર્વ નેતા વિનોદ શર્માના પુત્ર અને હરિયાણાના પૂર્વ સ્પીકર કુલદીપ શમાના જમાઈ છે. ભાજપ સિવાય તેમને જનનાયક જનતા પાર્ટી (જેજેપી)નું પણ સમર્થન છે. જેજેપીનેતા અજય સિંહ ચૌટાલાએ કહ્યું છે કે, તેમની પાર્ટીના તમામ ૧૦ ધારાસભ્યો કાર્તિકેયને સમર્થન કરશે. કોઈપણ પાર્ટીને સીટ જીતવા માટે ૩૧ વોટની જરૃર હોય છે. કોંગ્રેસ પાસે ૩૧ ધારાસભ્યો છે જ્યારે ભાજપ પાસે ૯ સરપ્લસ વોટ છે. જેને પાર્ટી કાર્તિકેયને ટ્રાન્સફર કરી શકે છે. જો કે કાગળ પર અજય માકનની સ્થિતિ મજબૂત માનવામાં આવે છે પરંતુ પાર્ટીથી નારાજ કુલદીપ બિશ્નોઈનું ફેક્ટર તેમની મુશ્કેલી વધારી શકે છે. જાણવા મળ્યું છે કે, ભાજપે બિશ્નોઈનો સંપર્ક કર્યો છે.

મહારાષ્ટ્રમાં (જ્યાં રાજ્યસભાની ૬ બેઠકો છે) કોંગ્રેસના નેતા નગમા એ મોરારજીએ ૧૮ વર્ષની રાહ જોયા બાદ પણ મોકો ન મળવા અંગે ટ્વિટ દ્વારા પોતાની પીડા વ્યક્ત કરી હતી.

કોંગ્રેસ છઠ્ઠી સીટ પરથી યુપીના નેતા ઈમરાન પ્રતાપગઢીને મહારાષ્ટ્રથી રાજ્યસભામાં મોકલી રહી છે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના મહાવિકાસ અઘાડી ગઠબંધનએ કહ્યું છે કે, તેમની પાસે ૬ માંથી ૩બેઠકો જીતવાનો આંકડો છે. ભાજપે પોતાના દમ પર ૨ બેઠકો જીતી શકે છે આવી સ્થિતીમાં છઠ્ઠી બેઠક માટેનો મુકાબલો રસપ્રદ બની શકે છે.

 

(8:06 pm IST)