Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

મુંબઈમાં કોવીડના કારણે હોસ્પિટલ ભરતી થનાર લોકોની સંખ્યામાં 231 ટકાનો વધારો

હોસ્પિટલોમાં આઈસીયુમાં ભરતી થવાની સંખ્યામાં ઝડપથી ઉછાળો

મુંબઈ કોરોના વાયરસ ના કેસમાં હાલમાં જ વધારાના સમાચાર બાદ મુંબઈની હોસ્પિટલોમાં આઈસીયુમાં ભરતી થવાની સંખ્યામાં ઝડપથી ઉછાળો જોવા મળી રહ્યો છે. એપ્રિલની સરખામણીમાં કોવિડના કારણે હોસ્પિટલ ભરતી થનાર લોકોની સંખ્યામાં 231 ટકાનો વધારો થયો છે. સોમવાર સુધી, શહેરની હોસ્પિટલોમાં 215 દર્દી દાખલ થયા, જ્યારે એપ્રિલમાં આવા જ દર્દીઓની સંખ્યા માત્ર 65 હતી.

દર્દીઓની સંખ્યામાં આ તાજેતરના ઉછાળાને પગલે કોવિડ દર્દીઓ માટે પથારીની ફાળવણી કરવા ખાનગી હોસ્પિટલોમાં પણ તૈયાર કરવાની ફરજ પાડી છે. ઈન્ડિયા ટુડેમાં પ્રકાશિત અહેવાલ મુજબ, જો કે, હોસ્પિટલમાં દાખલ મોટાભાગના દર્દીઓની ઉંમર 60 વર્ષથી વધુ છે અથવા તેઓ અન્ય રોગોથી પીડિત છે. આંકડા મુજબ, 10 દર્દીઓમાંથી આઠ દર્દીઓ 60 વર્ષથી વધુ ઉંમરના છે અને તેમાંથી બે કરતાં વધુ દર્દીઓ અન્ય રોગોની સારવાર હેઠળ છે.

તાજેતરમાં, મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું હતું કે, રાજ્યના તે જિલ્લાના લોકોએ માસ્ક પહેરવા સહિતની સાવચેતી રાખવી જોઈએ, જ્યાં દરરોજ કોરોના વાયરસના ચેપના કેસ વધી રહ્યા છે, ત્યાં ખાસ. રાજ્યમાં ગયા મહિને જ ફરજીયાત માસ્ક પહેરવામાંથી છૂટ આપવામાં આવી હતી . આરોગ્ય વિભાગના એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં પ્રથમ વખત કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપનું પેટા સ્વરૂપ B.A. 4 માંથી 4 અને B.A. 5ના પણ ત્રણ દર્દીઓ સામે આવ્યા છે.

 

આ દરમિયાન, મહારાષ્ટ્રમાં સોમવારે છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 431 નવા કેસ સામે આવતાં, કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 78,86,375 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન મૃત્યુનો એક પણ કેસ નોંધાયો નથી. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં 500 થી વધુ કેસ સામે આવી રહ્યા છે. રવિવારે રાજ્યમાં કોવિડ-19ના 550 કેસ નોંધાયા હતા. અધિકારીએ જણાવ્યું કે, મૃત્યુઆંક 1,47,859 પર છે. છેલ્લા 24 કલાકમાં 297 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 77,35,385 લોકોએ સંક્રમણને માત આપી છે.

(11:15 am IST)