Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

દેશનું આર્થિક ચિત્ર બદલી નાંખ્યુ

મોદીએ લીધેલા બે સૌથી મોટા નિર્ણય પાછળ આ ગુજરાતીનું ભેજું હતું

ટીકાનો સામનો કરવો પડયોઃ સેક્રેટરી બનતા સાથે જ લીધા પગલાઃ બેંકોને સીધી કરીઃ સાદુ-સરળ જીવન જીવે છે અઢિયા

નવી દિલ્હી તા. ૧ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૧૪માં દિલ્હી ગયા તેના પાંચ જ મહિના બાદ ગુજરાતમાંથી બીજા એક કામઢા અધિકારી દિલ્હી જવા રવાના થા હતા. મોદીની જેમ જ તેમણે પણ તે ઔદ્યોગિક નીતિ અને પ્રોત્સાહન વિભાગના વડા તરીકે ચૂપચાપ કામ કરતા રહેવાનું પસંદ કર્યું હતુ. આ એવા અધિકારી છે જે મોદીની જેમ જ ભ્રષ્ટાચાર અને આળસને ધિક્કારે છે. માત્ર ચાળીસ જ મહિનાની અંદર અંદર ફાયનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયાએ દેશની આર્થિક તવારીખ બદલીને રાખી દીધી છે.

નોટબંધીમાં હસમુખ અઢિયાએ પરદા પાછળ ભૂમિકા ભજવી હતી જયારે GSTમાં તે ઊભરીને બહાર આવ્યા હતા. અઢિયાએ મોદી સરકારને બે એવા નિર્ણયો લેવડાવ્યા છે જેની અસર દરેકે દરેક ભારતીય પર પડે. GST લાગુ પડ્યો અને નોટબંધીમાં સરકારને ધાર્યા મુજબ પરિણામ ન મળ્યા ત્યારે અઢિયાને ઘણી ટીકાનો પણ સામનો કરવો પડ્યો હતો. પરંતુ અઢિયાને વહેલી તકે પોતાની ભૂલનો અહેસાસ થતા તેમણે પ્રારંભિક તબક્કે જ ભૂલ સુધારી લીધી હતી. અઢિયાએ જણાવ્યું હતું, 'લોકોની તકલીફો દૂર કરવા ફેરફાર કરવા કંઈ ખોટી વાત છે? ફ્લેકિસબલ રહીને લોકોને તાત્કાલિક રાહત આપવી એ જ યોગ્ય છે.'

પૈસાદારો જેને ઓછા પસંદ કરે છે તેવા ગુજરાત કેડરના આ IAS અધિકારીની ફ્લેકિસબિલિટી અને સાથે સાથે દૃઢ નિર્ણય શકિત જોતા ત્રણ વર્ષ પહેલા તેમને નાણાં મંત્રાલયમાં સેક્રેટરીની જવાબદારી સોંપવામાં આવી હતી. આ જવાબદારી સંભાળતા તરત જ તેમણે બેન્કના અધિકારીઓને બિનજરૂરી દિલ્હીની મુલાકાત લઈને નાણાંમંત્રાલયનો સમય ન વેડફવા જણાવ્યું હતુ. ચાર્જ સંભાળ્યાના બે જ દિવસમાં અઢિયાએ જ્ઞાન સંગમનું આયોજન કર્યું હતું જેમાં મોદીએ દેશના ટોચના બેન્ક અધિકારીઓને જણાવ્યું હતુ કે તમના બિઝનેસને લગતા નિર્ણયોમાં સરકારનો હસ્તક્ષેપ નહિ હોય. બેન્કમાં ટ્રાન્સફર અને લોન પાસ કરવા જેવી બાબતો પણ નાણાંમંત્રાલય સુધી પહોંચતી હતી. આથી મુલાકાતીઓને આ પ્રકારની વિનંતી લઈને ન આવવાની નોટિસ ફરતી થઈ ગઈ હતી.

જ્ઞાન સંગમમાં મળેલા ઈનપુટના આધારે સરકારે ઈન્દ્રધનુષ પેકેજની જાહેરાત કરી હતી જે પબ્લિક સેકટરમાં નવા પ્રાણ ફૂંકવા માટે પ્રયત્ન શીલ છે. આ પગલુ સાચી દિશામાં લેવાયુ હોવા છતાં બે વર્ષ પછી પણ એ સ્પષ્ટ છે કે તે NPAની સમસ્યા સામે જૂજવા માટે સક્ષમ નથી. આ ગાળામાં અઢિયા રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં પણ ગયા અને ત્યાં તેમણે મોરિશિયસ, સાઈપ્રસ, સિંગાપોર જેવા દેશો સાથે થયેલી ટેકસની જે જે સમજૂતીઓનો દુરુપયોગ થતો હતો તેમાં ફેરફાર કરવાનો શરૂ કરી દીધો. ત્યાર પછી તેમણે GST લોન્ચ કરવાનું મોટું કામ હાથમાં લીધુ.

હસમુખ અઢિયાનું કામ ભલે હાઈ પ્રોફાઈલ હોય પરંતુ IIM બેંગલુરુના આ ગોલ્ડમેડાલિસ્ટ અને યોગમાં PhD મેળવનાર હસમુખ અઢિયા પોતે અંગત જીવનમાં સાવ સીધા સાદા માણસ છે. તે ભાગ્યે જ કોઈ ડિનર કે ઓફિશિયલ ફંકશનમાં દેખાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે શિસ્ત પ્રિય હસમુખ અઢિયા રાત્રે ૯.૩૦-૧૦ વાગે તો સૂઈ જાય છે અને વહેલા ઊઠી જાય છે. ૭ વાગ્યા સુધીમાં યોગ અને જિમ પતાવીને તે પોતાના શોખના બીજા વિષયો માટે સમય ફાળવે છે

કોઈ નોનસેન્સ ન ચલાવી લેવાનું તેમનું વલણ રેવન્યુ સર્વિસ ડિપાર્ટમેન્ટમાં ઘણા લોકોને પસંદ નથી આવ્યુ. ઘણા લોકોએ અઢિયા તેમના કામમાં બિનજરૂરી દખલ કરતા હોવાની ફરિયાદ પણ કરી છે. એક સમયે તો અઢિયાએ ટાર્ગેટ પૂરો કરવા માટે કંપનીઓ પાસેથી વધારે ટેકસ પડાવતા અધિકારીઓ સામે પગલા લીધા ત્યારે તેમની સામે બળવો થઈ ગયો હતો. પરંતુ અઢિયા તેમનું કામ તેમની રીતે કરવામાં માને છે પછી વાત ટેકસ કલેકશનની હોય, કોઈ સ્ટ્રેટેજી ફરી ઘડવાની હોય કે પછી GSTની અમલીકરણ કરવાની.

GST કાઉન્સિલની મીટીંગોમાં પણ અઢિયાનો અભિગમ આવો જ રહે છે. આ મીટીંગમાં તો રાજયોના નાણાંમંત્રી અને તેમના બોસ અરૂણ જેટલી પણ હોય છે. ડેડલાઈન આડે વધુ સમય ન હોવાથી તેમણે મે મહિનામાં શ્રીનગરમાં કાઉન્સિલની મીટીંગ અગાઉ નાણાંમંત્રીઓને દર નક્કી કરવા ખાસ્સો હસ્તક્ષેપ કર્યો હતો અને તેમને સાચી દિશા ચીંધી હતી.

મોદી ગુજરાતમાં હતા ત્યારે તેમના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચૂકેલા અઢિયાને હાલમાં સૌથી પાવરફૂલ IAS અધિકારીઓમાંના એક મનાય છે. ઘણા એવુ માને છે કે મોદીને અઢિયા સાથે જેવી જુગલબંધી જામે છે તેવી બીજા કોઈ સાથે નથી જામતી. એવું માનવામાં આવી રહ્યું છે કે ૨૦૧૮માં તે મોદી સરકારના શાસનમાં વધુ મહત્વની ભૂમિકા ભજવશે.

(4:02 pm IST)