News of Wednesday, 30th November 2022
રાજકોટ તા. ૩૦ : લોકશાહીનું પર્વ ગણાતી ચૂંટણીએ ગુજરાતના દ્વારે ટકોરા માર્યા છે. ગુજરાત ધારાસભાની ચૂંટણીનું પ્રથમ ચરણનું મતદાન કાલે તા. ૧ ડિસેમ્બરે સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી થનાર છે. જેમાં સૌરાષ્ટ્ર - કચ્છ અને દક્ષિણ ગુજરાતના ૧૯ જિલ્લાઓની ૮૯ બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કે તા. ૫ ડિસેમ્બરે મધ્ય અને ઉત્તર ગુજરાતની ૯૩ બેઠકોનું મતદાન થશે. ચૂંટણી એક રાજ્યની વિધાનસભાની છે પણ તેના પડઘા વિશ્વવ્યાપી પડશે. ગુજરાતના પરિણામની વિશ્વમાં નોંધ લેવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની અગાઉની ૧૪ સામાન્ય ચૂંટણીઓ કરતા આ વખતની ચૂંટણી અલગ પડે છે. રાજ્યમાં સામાન્ય રીતે ભાજપ - કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા રહે છે પણ આ વખતે પંજાબ અને દિલ્હી તે બે રાજ્યોમાં સત્તા ધરાવતી આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો પર ઝૂકાવતા ત્રિપાંખીયો જંગ થઇ ગયો છે. અન્ય પક્ષો અને અપક્ષો પણ મેદાનમાં છે. દરેક પક્ષ અને ઉમેદવારે પોતાની રીતે તાકાત કામે લગાડી છે.
રાજ્યમાં ૧૯૯૫થી સતત ૬ વખતથી ભાજપને બહુમતી મળે છે. ભાજપે આ વખતે સાતમી વખત સરકાર બનાવવાના સંકલ્પ સાથે જોરશોરથી મેદાનમાં ઝુકાવ્યું છે. ભૂપેન્દ્રભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા પછી રાજ્ય વિધાનસભાની પ્રથમ ચૂંટણી છે. ભાજપના પ્રચાર માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, પ્રદેશના નેતાઓ વગેરે રાજ્યવ્યાપી પ્રવાસ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી તરફથી કેજરીવાલ, મનીષ સીસોદિયા વગેરેએ પ્રચારનો દોર સંભાળ્યો છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી મલ્લિકાર્જુન ખડગે ગઇકાલે રાજ્યમાં હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અત્યાર સુધીમાં ગુજરાતમાં બે ચૂંટણી સભા ગજાવી ગયા છે. વ્યૂહરચના અથવા અન્ય કોઇ કારણસર કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ ચૂંટણી પ્રચારમાં મર્યાદિત ભૂમિકા રાખી છે.
ભાજપ દ્વારા મુખ્યત્વે રાજ્ય અને કેન્દ્ર સરકારના વિકાસકામો અને સલામતીના નામે મત માંગવામાં આવ્યા છે. હિન્દુત્વના મુદ્દાને પણ પ્રચારક બનાવવા પ્રયાસ થયો છે. કોંગી, આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષોએ મોંઘવારી, બેકારી, કાયદો - વ્યવસ્થા, લઠ્ઠાકાંડ, મોરબીના ઝુલતા પૂલની દુર્ઘટના વગેરે મુદ્દા ચગાવ્યા છે.
ત્રણેય પક્ષોના સરકાર બનાવવાના દાવા વચ્ચે આવતીકાલે પ્રથમ ચરણના ૮૯ મતક્ષેત્રોમાં જનાદેશની ઘડી છે. મતદારો મન કળાવા દેતા નથી પણ લોકશાહીમાં લોકો જ સર્વોપરી છે. આવતા ૫ વર્ષ માટે લોકોની પસંદગી કયો પક્ષ અને કયો ઉમેદવારછ ે તે તો મત મશીનો ખૂલે ત્યારે જ ખબર પડશે. ચૂંટણીની રળિયામણી ઘડીને સમજપૂર્વક મતદાન કરીને વધાવવી તે મતદારોની ફરજ છે.