Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

વિદ્યાર્થીઓએ સ્‍કૂલમાં જઈને આપવી પડશે એકમ કસોટીઃ શાળાઓ કરી રહી છે તૈયારીઓ!

રાજયમાં હાલ કોરોનાના કેસ ઘટી રહ્યા હોવાથી હવે શાળાઓ ઓક્‍ટોબરમાં લેવાનારી પ્રથમ કસોટી ઓફલાઈન લેવાની તૈયારીઓ કરી રહી છેઃ જોકે, સરકાર તરફથી આ અંગે કોઈ જાહેરાત નથી થઈ : ઓક્‍ટોબર મહિનામાં રાજયભરની સ્‍કૂલોમાં પહેલી એકમ કસોટીનું આયોજન કરવામાં આવ્‍યું છે : દિવાળી બાદ પણ કોરોના કાબૂમાં રહેશે તો સ્‍કૂલો રાબેતા મુજબ શરૂ થશે, તેમ સંચાલકોનું માનવું છે.

અમદાવાદ, તા.૩૦: રાજયમાં હાલ કોરોનાના કેસ ઘટી રહ્યા હોવાથી હવે શાળાઓ ઓક્‍ટોબરમાં લેવાનારી પ્રથમ કસોટી ઓફલાઈન લેવાની તૈયારીઓ કરી રહી છે. કેટલીક શાળાઓએ તો પ્રેક્‍ટિસ એકમ કસોટી માટે વિદ્યાર્થીઓને સ્‍કૂલે બોલાવ્‍યા હતા અને પેપર લખાવ્‍યું હતું. આમ, હવે શાળાઓમાં દિવાળી વેકેશન બાદ ચિત્ર બદલાય તેવું અનુમાન સંચાલકો લગાવી રહ્યા છે. જો સ્‍થિતિ સામાન્‍ય રહે તો સરકાર દ્વારા શાળાઓ ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે તેમ સંચાલકોનું માનવું છે.
રાજયમાં કોરોનાના કેસો આવવાના શરૂ થતાં ૭ જૂનથી શરૂ થયેલા નવા શૈક્ષણિક વર્ષમાં ઓનલાઈન શિક્ષણથી જ શાળાઓમાં અભ્‍યાસ શરૂ કરવામાં આવ્‍યો હતો. ધીમેધીમે કોરાનાના કેસો કાબૂમાં આવવા લાગતા સરકાર દ્વારા સૌપ્રથમ ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓ ત્‍યારબાદ માધ્‍યમિક શાળાઓ ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્‍યારબાદ હાલમાં અપર પ્રાયમરી એટલે કે, ધોરણ ૬ થી ૮ના વર્ગો શરૂ કરવામાં આવ્‍યા છે. જોકે, હજી જે વાલીઓએ બાળકોને સ્‍કૂલમાં મોકલવા માટે સંમિત આપી છે તેમના માટે જ ઓફલાઈન વર્ગો ચાલે છે. જયારે જેમણે સંમતિ નથી આપી તેમના માટે ઓનલાઈન વર્ગો ચાલુ રાખવામાં આવ્‍યા છે.
રાજયમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના કેસો ખૂબ ઓછી સંખ્‍યામાં આવી રહ્યા હોવાથી હવે ઓક્‍ટોબરમાં લેવાનારી પ્રથમ કસોટી ઓફલાઈન મોડમાં લેવાનું આયોજન સ્‍કૂલો કરી રહી છે, તેવી માહિતી મળી છે. અત્‍યાર સુધી વિદ્યાર્થીઓએ તમામ કસોટી દ્યરે બેસીને આપી છે. જોકે, હવે તેમને સ્‍કૂલે જઈને ઓફલાઈન મોડમાં પરીક્ષા આપવાની હોય તેમ લાગી રહ્યું છે. આ માટે શાળાઓએ અત્‍યારથી જ તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળે છે
કેટલીક સ્‍કૂલોએ ત્રીજી એકમ કસોટી પણ વિદ્યાર્થીઓને સ્‍કૂલો બોલાવીને લીધી છે. જેમાં શાળાઓને સફળતા મળતા હવે તેઓ ઓક્‍ટોબરની પરીક્ષા પણ સ્‍કૂલમાં જ લેવા માગતા હોય તેવું લાગી રહ્યું છે. જોકે, સરકાર દ્વારા હજી વિદ્યાર્થીઓને ફરજિયાત સ્‍કૂલે બોલાવા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી છતાં શાળાઓ દબાણ કરતી હોવાનું પણ સામે આવ્‍યું છે. ઓક્‍ટોબરમાં લેવાનારી પરીક્ષા બાદ દિવાળી વેકેશન પડશે અને ત્‍યારબાદ શરૂ થનારા બીજા સત્ર વખતે પણ કોરોનાના કેસ કાબૂમાં રહેશે તો શાળાઓમાં બાળકોની હાજરી ફરજિયાત કરવા અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે, તેમ સંચાલકોનું માનવું છે.

 

(11:11 am IST)