Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

વડોદરામાં વિવાદિત જમીનમાં જેસીબી સાથે આવેલા 15 જેટલા ઈસમોએ ત્રણ ફ્લેટના ચાર માળનું બાંધકામ તોડી પાડ્યું

બિલ્ડિંગમાંથી નીકળેલા રૂપિયા 40 લાખની કિંમતના ભંગારની ચોરી કરી આવારા તત્વો ફરાર : પોલીસે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધ્યો

વડોદરા તા.30 :  વડોદરાના આજવા રોડ સ્થિત વિવાદિત જમીનમાં 15 જેટલા લોકોના ટોળું જેસીબી , ટ્રેક્ટર ટ્રોલી તથા હિટાચી મશીન સાથે ઘસી આવ્યું હતું અને ત્રણ ટાવરના સ્ટ્રકચર તોડી તેમાંથી લોખંડના સળિયા કાઢી અન્ય ભંગાર તથા સ્ટીલના સળિયા ઉઠાવી ગયા હતા.

વડોદરાના આજવા રોડ સ્થિત વિવાદિત જમીનમાં જેસીબી, હિટાચી અને ટ્રેક્ટર સાથે આવેલા 15 જેટલા ઈસમોએ ત્રણ ફ્લેટના ચાર માળનું બાંધકામ તોડી પાડી બિલ્ડિંગમાંથી નીકળેલા રૂપિયા 40 લાખની કિંમતના ભંગારની ચોરી કરી ગયા હોવાઅંગે બાપોદ પોલીસ મથકે ફરિયાદ થતા ભારે ચકચાર ફેલાઈ ગઈ છે અને પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને ભંગાર ચોરી જનારા ઇસમોની શોધખોળ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ પ્રિયાંક કુમાર પાંડે મુંબઈની સંસ્કૃતિ ઈન્ફ્રા ડેવલોપર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સાઇટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓ કંપની જમીન લે વેચ કરવાની સાથે ડેવલોપમેન્ટ કરવાનું પણ કામ કરે છે. દરમ્યાન વર્ષ 2021માં મુંબઈના નિલય દેસાઈએ ગુજરાતમાં ઇન્વેસ્ટ કરવા માટે સંસ્કૃતિ કંપનીને મેસર્સ PSCL લિમિટેડની જમીન બતાવી હતી. જે જમીન સંસ્કૃતિ કંપનીએ ખરીદવાની ઈચ્છા ધરાવતા વેચાણ પ્રક્રિયા હાથ ધરી હતી.
આ કંપનીના ડાયરેક્ટર મુંબઈ ખાતે રહેતા હોવાથી અવારનવાર ગુજરાત આવી ન શકવાના કારણે માત્ર ખરીદી હેતુ રજીસ્ટર કચેરીમાં નિલય દેસાઈને જમીન કંપનીના નામે ચડાવવા અધિકાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ સર્વે નંબર 607 એ પૈકી 2.72 હેક્ટર વાળી જમીનમાં ફ્લેટ બનાવવા માટેનું બાંધકામ શરૂ કર્યું હતું. અને ચાર માળની ઇમારત ઊભી કરી હતી. દરમિયાન નિલય દેસાઈએ આ જમીન ખોટી રીતે સંજયભાઈ જેયતીલાલ જૈનને ઓછા ભાવમાં વેચી હતી. જે અંગેની જાણ કંપનીને થતા કોર્ટમાં દાવો માંડ્યો હતો.

જોકે, ત્યારબાદ ત્યાં ગાર્ડ રહેતા ન હોય જમીન ફરતે સંસ્કૃતિ કંપની દ્વારા જમીનની ચારેય ફરતે પતરાની દિવાલ ઊભી કરવામાં આવી હતી.
સ્થળ પર હાજર ભાવેશ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, હમીરભાઇ ભરવાડએ સ્ટ્રક્ચર જૂનું થઈ ગયું હોય તોડી પાડવાનું કામ સોપ્યું છે. અને સંજય જૈન તથા પરેશ પટેલે ઓથોરિટી આપી છે. આમ દિવાલ તોડી જમીનમાં પ્રવેશી ત્રણ ફ્લેટના ચાર માળના સ્ટ્રકચરને જમીન સુધી તોડી નુકસાન પહોંચાડવાની સાથે 40 લાખનો ભંગાર સગેવગે થઈ ગયો છે. ઉપરોક્ત ફરિયાદના આધારે બાપોદ પોલીસે હમીર ભરવાડ, પરેશ પટેલ, નિલય દેસાઈ અને સંજય જૈન વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે.
 

(9:48 pm IST)