Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

વિજયભાઈ રૂપાણીનો મંગળવારે જન્‍મદિવસઃ સેવાદિન તરીકે ઉજવાશે

શહેરની વિવિધ સંસ્‍થાઓ દ્વારા વિવિધ વોર્ડમાં સેવાકાર્યોઃ ઢગલાબંધ કાર્યક્રમોની ભરમાર : પુજીત ટ્રસ્‍ટ દ્વારા બેતાલા ચશ્‍માનું વિતરણ, સ્‍ટ્રીટ ચિલ્‍ડ્રન- ઓપન હાઉસ અને જ્ઞાન પ્રબોધિની પ્રોજેકટની દીકરીઓને રાખડી વિતરણઃ ૪૦ વર્ષથી મોટી ઉંમરના બહેનો માટે મેમોગ્રાફી- સોનોગ્રાફી કેમ્‍પઃ વિનામૂલ્‍યે ડેન્‍ટલ ચેકઅપ, બાળકોને સ્‍કૂલ બેગ વિતરણ, હોમિયોપેથી- આયુર્વેદીક મેડીકલ કેમ્‍પઃ વોર્ડ નં.૭માં રકતદાન કેમ્‍પ, વોર્ડ નં.૧ દ્વારા સદ્દભાવના વૃધ્‍ધાશ્રમના વડીલોને ભોજન કરાવાશેઃ વોર્ડ નં.૨ માં બાળકોને સ્‍ટેશનરી કીટ, આંગણવાડીના બાળકોના આધારકાર્ડનો કેમ્‍પઃ અનાજ કીટ વિતરણઃ બાલાજી મંદિરે યજ્ઞ

રાજકોટઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું ચાર દાયકા ઉપરાંતનું જાહેર જીવન સંગઠન, સમર્પણ, સેવા અને કર્મઠતાની સાધના સમાન રહ્યું છે. વિજયભાઈ રૂપાણીનો સ્‍વભાવ સંવેદનશીલ અને સેવાકીય છે. નાનામાં નાના માણસની દરકાર કરવી, છેવાડાના માનવીની મદદ કરવી એ તેમનો જીવનધ્‍યેય રહ્યો છે. જાહેર જીવનના પ્રારંભકાળથી જ સમૂહભાવના અને મૈત્રીભાવ સાથે કામ કરીને સૌ કોઈનો સૌથી પહેલો વિચાર કરવાનો તેમનો અભિગમ આજે પણ એટલો જ બરકરાર છે. હવે જયારે આગામી ૨ ઓગષ્ટે રાજકોટના રતન વિજયભાઈ રૂપાણીનો જન્‍મદિવસ છે ત્‍યારે આ દિવસને સેવાદિન તરીકે ઉજવી સમાજના દરેક વર્ગ માટે સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન રાજકોટની વિવિધ સેવાભાવી સંસ્‍થાઓ દ્વારા કરવામાં આવ્‍યું છે.

વર્ષોથી વિજયભાઈ રૂપાણી કોઈપણ પ્રસંગની ઉજવણી સેવાકાર્યો દ્વારા ઉજવવા ટેવાયેલા હોય, સમગ્ર રાજકોટને પોતાનો પરિવાર સમજતા વિજયભાઈ રૂપાણીના જન્‍મદિવસ નિમિત્તે શહેરની વિવિધ સંસ્‍થાઓ અલગઅલગ વોર્ડમાં સેવાકીય કાર્યો દ્વારા વિજયભાઈ રૂપાણીને જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી તેમના જન્‍મદિવસને સેવાદિન તરીકે ઉજવશે. તેમણે મુખ્‍યમંત્રી બન્‍યા પહેલા અને મુખ્‍યમંત્રી તરીકે રાજકોટવાસીઓની જે પ્રકારે સેવા, ખેવના, ચિંતા કરી છે તે જોતા વિજયભાઈનો જન્‍મ દિવસ ઉજવવા રાજકોટની જનતા સ્‍વયં થનગની રહી હોવાનું યાદીમાં જણાવાયું છે.

રાજકોટમાં ગરીબ પરિવારોના બાળકો માટે શિક્ષણ ઉપરાંત આરોગ્‍યક્ષેત્રે કામ કરતી જાણીતી સેવાભાવી સંસ્‍થા એટલે પૂજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્‍ટ. છેલ્લા અઢી દાયકાથી કાર્યરત આ ટ્રસ્‍ટ વિજયભાઈને જન્‍મદિવસ નિમિત્તે ટ્રસ્‍ટના ભવન ખાતે સાંજે ૪ થી ૬, જૈન ફાઉન્‍ડેશનના સહયોગથી વાંચવાના (બેતાલા) ચશ્‍માનું વિતરણ કરશે. ટ્રસ્‍ટનાં  સ્‍ટ્રીટ ચિલ્‍ડ્રન, ઓપન હાઉસ તથા જ્ઞાનપ્રબોધિનિ પ્રોજેકટની દીકરીઓને રાખડી વિતરણ કરવામાં આવશે. શ્રી પૂજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્‍ટ સાથે મંદબુદ્ધિના બાળકો સાથે વોર્ડ નં.૧૦માં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંતસ્ત્રીઓમાં થતા સ્‍તન કેન્‍સરના ગંભીર રોગ અંગે જાગૃતતા આવે અને યોગ્‍ય સમયે તેનું પરિક્ષણ થઈ શરૂઆતથી સારવાર જ થઈ શકે તે માટે શહેરના વોર્ડ નં.૧ અને મહિલા મોરચા દ્વારા શ્‍યામનગર, ૧૫૦ ફૂટ રીંગરોડ ખાતે ૪૦ વર્ષથી મોટી ઉંમરની મહિલાઓ માટે મેમોગ્રાફી તથા સોનોગ્રાફી કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કેમ્‍પમાં સૌરાષ્ટ્રના નામાંકિત કેન્‍સર સ્‍પેશ્‍યાલીસ્‍ટ અને ગાયનેક ડોક્‍ટરો દ્વારા સેવા આપવામાં આવશે. ડો. બબીતાબેન હપાણી, ડો. શૈલીબેન મોદી, ડો. બેલાબેન ટોળિયા તથા સૌરાષ્ટ્ર કેન્‍સર કેર એન્‍ડ  રિચર્સ ઇન્‍સ્‍ટિટ્‍યૂટના ડોક્‍ટરો દર્દીઓનું સ્‍ક્રીનીંગ કરશે અને જેમને જરૂર જણાય તેમને વિનામૂલ્‍યે સોનોગ્રાફી કરી આપશે.

 રોટરી મિડટાઉન ડાયાબીટીસ સેન્‍ટર ખાતે વિનામૂલ્‍યે ડેન્‍ટલ ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. ચિલ્‍ડ્રન હોમ ફોર બોય્‍સ એન્‍ડ ચિલ્‍ડ્રન હોમ ફોર ગર્લ્‍સના લાભાર્થી બાળકોને સ્‍કૂલ બેગ વિતરણ. તેમજ ટ્રસ્‍ટની જ્ઞાનપ્રબોધિનિ તથા સ્‍ટ્રીટ ચિલ્‍ડ્રન, ઓપન હાઉસ પ્રોજેક્‍ટની બાળાઓને રાખડી વિતરણ કરવામાં આવશે.

એચ.એન.શુકલા ગ્રુપ ઓફ કોલેજ દ્વારા હોમિયોપેથી તથા આયુર્વેદિક મેડિકલ કેમ્‍પ દ્વારા આરોગ્‍ય નિદાન કેમ્‍પ તેમજ વોર્ડ નં.૭ ભાજપ અને સેલ્‍ફ ફાઇનાન્‍સ કોલેજ એસોસિયેશન બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવશે.

વોર્ડ નં.૧ ભાજપ દ્વારા સદ્દભાવના વૃદ્ધાશ્રમ ખાતે બપોરે ૧૨ વાગ્‍યે આશરે ૧૫૦ જેટલા વૃદ્ધોને પણ ભાવતું ભોજન પીરસવામાં આવશે. તેમજ શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્‍ટ આયોજિત મેમોગ્રાફી કેમ્‍પમાં સહયોગ આપશે.

વોર્ડ નં.૨ ભાજપ દ્વારા સવારના ૧૦ કલાકે નગર પ્રાથમિક શાળા નં.૫૬ ગીત ગુર્જરી વોર્ડ ઓફિસની બાજુમાં બાળકોને સ્‍ટેશનરી કીટ તેમજ છોટુનગર મેઇન રોડ પર મફતીયપરમાં કમલેશભાઇ રાઠોડનાં મકાન પાસે આંગણવાડીમાં સવારનાં ૧૦.૩૦ કલાકે બાળકોના આધાર કાર્ડ કાઢવાનો કેમ્‍પ ગોઠવેલ છે.

ભાજપ મહિલા મોરચા દ્વારા શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્‍ટ આયોજિત મેમોગ્રાફી કેમ્‍પમાં સહયોગ આપશે.  ભાજપ લિગલ સેલ દ્વારા સાંજે દીકરાનું ઘર ઢોલરા ખાતે જમણવાર કરાવવામાં આવશે. ભાજપ યુવા મોરચા દ્વારા માનવ મંદિર ત્રંબા ખાતે મંદબુદ્ધિના બાળકોને સવારે પાક્કો નાસ્‍તો કરાવવામાં આવશે. રમણીકબા કુંવરબા વૃદ્ધાશ્રમ ખાતે બપોરે વૃદ્ધોને જમાડવામાં આવશે.  મિલન કોઠારી દ્વારા નમ્રમુનિ રથ તથા બોલબાલા દ્વારા અન્‍નરથ થકી ભૂખ્‍યાઓની જઠરાગ્નિ ઠારવામાં આવશે. કિશાન ગૌશાળા ખાતે અન્‍નકોટ ધરવામાં આવશે. વોર્ડ નં.૩ શ્રી વિજયભાઇ રૂપાણી ફેન ક્‍લબ દ્વારા અનાજ કીટનું વિતરણ કરવામાં આવશે. સોઢા નર્સિંગ સ્‍કૂલ દ્વારા સિવિલ હોસ્‍પિટલમાં ફ્રૂટ વિતરણ  વોર્ડ નં.૭ ભાજપ દ્વારા પંચનાથ મંદિર ખાતે સવારે ૧૧.૩૦ કલાકે બ્રાહ્મણોને જમાડવામાં આવશે. વોર્ડ નં.૮ના ભાજપ કાર્યકરો દ્વારા પોતાના વિસ્‍તારમાં આવેલી આંગણવાડીઓમાં બાળકોને ભોજન પીરસવામાં આવશે. વોર્ડ નં.૯ ભાજપ દ્વારા યુનિવર્સિટી રોડ પર આવેલા સ્‍નેહનિર્જર બાળકોની સંસ્‍થામાં બાળકોને મનગમતા આઈસ્‍ક્રીમ ખવડાવવામાં આવશે. વોર્ડ નં.૧૦ ભાજપના સહયોગથી  વિજયભાઈ રૂપાણીના જન્‍મદિવસ નિમિત્તે મંદબુદ્ધિના બાળકોને બાલભવન ખાતે આનંદ-કિલ્લોલ સાથે તમામ રાઈડસનું મનોરંજન કરાવવામાં આવશે. આ સિવાય બાળકોને ડી.જે.ના તાલ પર ડાન્‍સ અને ત્‍યારબાદ તેમને ભાવતું ભોજન પણ કરાવવામાં આવશે. ભૂપેન્‍દ્ર રોડ પર આવેલા બાલાજી મંદિર દ્વારા વિજયભાઈ રૂપાણીના દીર્ધાયું માટે યજ્ઞ તેમજ ગજાનન ધામ સમિતિ દ્વારા ભૂપેન્‍દ્ર રોડ, મોનર્ક કોમ્‍પલેક્ષની બાજુમાં સવારે ૯ થી બપોરે ૨ સુધી બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. 

 આમ, રાજકોટની વિવિધ સેવાભાવી સંસ્‍થાઓ અને અલગઅલગ વોર્ડમાં રાજકોટના લોકલાડીલા નેતા વિજયભાઈ રૂપાણીના જન્‍મદિવસને સેવાકાર્યો થકી સેવાદિન તરીકે ઉજવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટના નગરસેવકથી સમગ્ર રાજયના પ્રધાનસેવકના કાર્યકાળ દરમિયાન વિજયભાઈ રૂપાણીએ રાજકોટ કા બેટા, ગુજરાતનાં નેતાનું બિરૂદ મેળવી રાજકોટનું નામ રોશન કર્યું છે. વિજયભાઈને રાજકોટ સવિશેષ પ્રિય હોય જાણે રાજકોટ પર તો વિજયભાઈ રૂપાણીએ વહાલનો વરસાદ વરસાવ્‍યો છે. નવું રેસકોર્ષ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ,નવું બસપોર્ટ, આજીમાં પાણી, સિવિલ હોસ્‍પિટલનું નવીનીકરણ, ઓવરબ્રીજ, અંડરબ્રીજ, અટલ સરોવર વગેરે.. વગેરે.. રાજકોટના વિકાસમાં તેઓ નિમિત્ત બન્‍યા છે ત્‍યારે આજીવન રાજકોટની સેવા કરનાર વિજયભાઈ રૂપાણીના જન્‍મદિવસને રાજકોટવાસીઓ વિવિધ સેવાકાર્યો કરવાના સેવાદિન રૂપે નિમિત્ત બનાવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

(11:35 am IST)