Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

શહેરના રસ્તાઓ પ્રજા માટે છે, રખડતા ઢોરો માટે નથી

રખડતા ઢોરોના ત્રાસની સમસ્યાના મુદ્દે ઝાટકણી : બિસ્માર રસ્તા અંગે પણ હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓ પાસેથી હેવાલ માંગ્યો : થર્ડ પાર્ટી ઓડિટ કરાવવા નિર્દેશ

અમદાવાદ,તા.૩૦ : શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ મુદ્દે થયેલી જાહેરહિતની રિટ અરજીની સુનાવણી દરમ્યાન આજે ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જોરદાર રીતે ઉધડો લઇ નાંખ્યો હતો. હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓને ઝાટકતાં જણાવ્યું હતું કે, હાઇકોર્ટ દ્વારા શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ નિવારણ માટે અગાઉ વારંવાર આદેશો જારી કરાયા છે પરંતુ તેનું અસરકારક પાલન જોવા મળતું નથી, જેના કારણે નાગરિકો હાલાકીનો ભોગ બની રહ્યા છે. શહેરના માર્ગો પ્રજા એટલે કે, લોકો માટે છે, રખડતા ઢોરો માટે નહી. હાઇકોર્ટે શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ નિવારણના નક્કર અને પરિણામલક્ષી પગલા લેવા અમ્યુકો સત્તાવાળાઓ અને સરકારપક્ષને તાકીદ કરી હતી. વધુમાં, હાઇકોર્ટે અમદાવાદ શહેરના બિસ્માર રસ્તાઓ અંગે પણ અમ્યુકો સત્તાવાળાઓ પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. હાઇકોર્ટે રસ્તાઓને લઇ થર્ડ પાર્ટી ઓડિટ કરાવવા પણ અમ્યુકો સત્તાવાળાઓને નિર્દેશ કર્યો હતો. સાથે સાથે અમદાવાદ શહેરમાં મંજૂર થયેલી ટાઉન પ્લાનીંગ સ્કીમો અને શહેરમાં સમાવિષ્ટ નવા વિસ્તારોની ટાઉન પ્લાનીંગ સ્કીમો વિશેની વિગતવાર માહિતી પણ હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી માંગી હતી. દરમ્યાન હાઇકોર્ટે અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ગૌચર જમીનની સ્થિતિને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજય સરકારના સત્તાવાળાઓને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, ગૌચરની જમીનની શું સ્થિતિ છે, તે જગજાહેર છે. ગૌચરની જમીન હવે રહી છે જ કયાં તે પણ એટલી જ વાસ્તવિકતા છે. જે ગૌચર જમીનો હતી, તે હાલ કાર કંપની કે અન્ય કંપનીઓ પાસે જતી રહી છે. હાઇકોર્ટે ગૌચરની જમીનના મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજય સરકારના સત્તાવાળાઓની ગર્ભિત ટીકા પણ કરી હતી. બીજીબાજુ, આ કેસની સુનાવણી દરમ્યાન આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એવો બચાવ રજૂ કરાયો હતો કે, અમદાવાદ શહેરમાં ૯૮૪ કિલોમીટર રસ્તાનો રેન્ડમ સર્વે કરાયો છે, જયારે ૭૦ કિલોમીટરનો રસ્તો ક્ષતિગ્રસ્ત અને બિસ્માર છે.

(8:30 pm IST)