Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ગુજરાતનો સમુદ્રકાંઠો સંકટમાં: ૩૫.૯૮% કિનારાનુ ધોવાણઃ ૧૦૩૫.૨૩ સ્કવેર કિ.મી.નો વિસ્તાર ગુમાવી દીધો

ખંભાતના પૂર્વ વિસ્તાર અને કચ્છની ખાડીનો ઉત્ત્।ર પૂર્વ ભાગ અને કચ્છનો પશ્ચિમ હિસ્સો હાઈરિસ્ક ઝોનમાં: સપાટી વધવાને કારણે ગુજરાતનો ૭૮૫ (૪૫.૬૭%) દરિયાકિનારો હાઈ રિસ્ક ઝોનમાં સમાવેશ

અમદાવાદ : ગુજરાતનો સમુદ્રકાંઠો સંકટમાં છે એક અભ્યાસમાં જણાવ્યું છે કે રાજયના દરિયાકિનારાનો ૩૫,૯૮ ટકા અને ધોવણ થયું છે અને ૧૦૩૫,૨૩ સ્કેવર કી,મી,નો વિસ્તાર ગુમાવી દીધો છે ગુજરાતનો ૧૬૧૭ કિ.મી લાંબો દરિયાકિનારો દેશમાં સૌથી લાંબો છે અને રાજયનો દરિયાકિનારો જીવાદોરી પણ છે દેશ- વિદેશમાંથી આવતા વેપારના વિચારોનો શ્રેય ગુજરાતના દરિયાકિનારાને જ અપાઈ છે પરંતુ આ દરિયાકિનારાની ભવ્યતા જોખમમાં મૂકાઈ ગઈ છે અને તેની અસર ગુજરાતના અર્થતંત્ર અને દરિયાકિનારામાંથી આવક ઊભી કરતા અનેક લોકો પર પડી શકે છે

નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટના વૈજ્ઞાનિક માણિક મહાપાત્ર તથા ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડો. રતીશ રામક્રિષ્ણન તથા ડો. એએસ રાજાવતે ગુજરાતના દરિયાકિનારા પર હાથ ધરાયેલ અભ્યાસ મુજબ ગુજરાતનો ૩૫.૯૮ ટકા દરિયાકિનારો ધોવાઈ રહ્યો છે અને તેનો ૧૦૩૫.૨૩ સ્કવેર કિ.મીનો વિસ્તાર આપણે ગુમાવી ચૂકયા છે. દરિયાકિનારો ધોવાવાનું મુખ્ય કારણમાં વાતાવરણમાં પલટો, દરિયાની સપાટી ઊંચી આવવી અને તાપમાનમાં પરિવર્તન છે, પરંતુ દરિયાકિનારાની ગતિશીલતાને સમજી ન શકનારા માણસોએ પણ તેના ધોવાણ પાછળ મોટો ભાગ ભજવ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં ૩ કરોડથી વધુ વસ્તી ધરાવતા ૫૪૯ જેટલા ગામડાઓનું દરિયાકિનારો ઘર છે. દરિયાકિનારે આવેલા અનેક બંદરો ગુજરાતના વેપાર અને સમૃદ્ઘિમાં વધારો કરે છે. અભ્યાસ મુજબ દરિયાની વધતી સપાટીને કારણે જો દરિયાકિનારાના નાના એવા હિસ્સાને પણ અસર પડી તો તેની અસર આખા દક્ષિણ ગુજરાત પર પડશે.

અભ્યાસ મુજબ દરિયાની સપાટી વધવાને કારણે ગુજરાતનો ૭૮૫ (૪૫.૬૭ ટકા) દરિયાકિનારો હાઈ રિસ્ક ઝોનમાં છે ૯૩૪ કિ.મી સાધારણથી લો રિસ્ક ઝોનમાં છે.તેમાંથી ૯.૯૦ ટકા ખૂબ જ વધારે જોખમી કેટેગરીમાં છે તેમાં ખંભાતના પૂર્વ વિસ્તારનો સમાવેશ થાય છે.કચ્છની ખાડીનો ઉત્ત્।ર પૂર્વ ભાગ અને કચ્છનો પશ્યિમ હિસ્સો પણ હાઈરિસ્ક ઝોનમાં છે.દરિયાની ભરતી અને તેના કિનારાના વિસ્તારમાં આવેલા ફેરફારને કારણે આ સમસ્યા સર્જાઈ છે. આ વિસ્તારમાં ખારાશ પણ વધી ગઈ હોવાનું અભ્યાસમાં પ્રકાશિત થયુ છે.

રાજયના સ્થિર દરિયાકિનારાના વિસ્તારો મુખ્યત્વે સૌરાષ્ટ્રના દરિયાકિનારે, માંડવી અને જખાઉ વિસ્તારમાં આવેલા છે. અહીં દરિયાકિનારો મુખ્યત્વે પથરાળ છે. જામનગર, ખંભાતના અખાતનો પશ્ચિમ વિસ્તાર પણ સ્થિર છે.અહીં આમ થવાનું કારણ એ છે કે રોડને કારણે ભરતી અટકી જાય છે. આ ઉપરાંત અહીં કાયમી વનસ્પતિઓને કારણે ભરતીનું જોર ઘટી જાય છે અથવા તો મર્યાદિત રહે છે.

(12:43 pm IST)