Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામની સીમમાંથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામની સીમમાં એક ફાર્મ હાઉસની બાજુમાં આવેલા ખેતરમાંથી એક અજાણ્યા આધેડ પુરૂષનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. ખેતર માલિક બાલુભાઇ ખુશાલભાઇ પટેલ રહે.ફુલવાડી તા.ઝઘડિયા આ અંગે ઝઘડિયા પોલીસને જાણ કરી હતી.પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો. ઝઘડિયા પીઆઇનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે પોલીસ તપાસ દરમિયાન આ મૃતદેહ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંતી ગામના ૫૫ વર્ષના  અનિલભાઇ રામાભાઈ પટેલનો હોવાની જાણ થઇ હતી.પોલીસ દ્વારા મૃતકના સંબંધીઓને ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ બાબતે મળતી માહિતી મુજબ મૃતક અનિલભાઇ ગત તા.૧૫  ના રોજ મરોલી ખાતેથી ગુમ થયા હતા. પરિવારજનો દ્વારા તેમને શોધવા છતાં કોઇ ભાળ મળી ન હતી. વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળ્યો હોઇ ચાર પાંચ દિવસ અગાઉ તેમનુ મોત થયું હોવાનું મનાય છે. તેઓ કયા સંજોગોમાં ગુમ થયા,તેમનું મોત કયા કારણસર થયું તેમજ છેક નવસારી જિલ્લાના આ ઇસમનો મૃતદેહ ભરૂચના ઝઘડિયા તાલુકામાં કેવી રીતે મળ્યો તે બાબતે હાલ તો રહસ્ય સર્જાયું છે.પોલીસ તપાસ બાદ ઘટના અંગેની વિગતો બહાર આવશે.

(6:07 pm IST)