Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

વડોદરામાં ફાઇનાન્‍સર ધર્મેશ પરમારે હોટલમાં ઝેરી દવા પી આપઘાત કરતા પરિવારમાં અરેરાટી

‘મારો ભાઇ ક્‍યારેય આપઘાત ન કરી શકે' મૃતકના ભાઇ રાજેન્‍દ્ર પરમારનું પોલીસમાં નિવેદન

વડોદરા: ‘મારો ભાઈ ક્યારેય આપઘાત ન કરી શકે!’ આ શબ્દો છે આઘાતમાં સરી પડેલા મૃતક ધર્મેશ પરમારના ભાઈના! વડોદરામાં એક ફાઇનાન્સરે હોટેલમાં રૂમ બુક કરાવી ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ત્યારે હાલ તેમનો સમગ્ર પરિવાર આઘાતમાં છે. આર્થિક રીતે સધ્ધર ફાઇનાન્સરે પોતાનું જીવન ટુંકાવી લેતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. ત્યારે હવે રહસ્યમય આપઘાતની ગુત્થી ઉકેલવા પોલીસ કામે લાગી છે.

સમગ્ર મામલે વાત કરવામાં આવે તો, વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી આકાશ ગંગા સોસાયટીમાં રહેતા ધર્મેશ પરમાર સોનીનો વ્યવસાય કરતા હતા. તો સાથે જ ફાઇનાન્સનું પણ કામ કરતા હતા. ગત રોજ ધર્મેશ પરમારે પોતાના ઘરે મહેમાન આવવાનું જણાવી સમા સાવલી રોડ પર આવેલી હોટલ રોયલ કિંગમાં મેહમાનો માટે રૂમ બુક કરાવ્યો હતો. ત્યાર બાદ હોટેલના 405 નંબરની રૂમમાં ઝેરી દાવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે હોટલ મેનેજરે જણાવ્યું હતું કે, મૃતક ધર્મેશ પરમાર દ્વારા રૂમ બુક કરાવ્યા બાદ ભોજન મંગાવવામાં આવ્યું હતું. જમવાનું આવી ગયા છતાં ધર્મેશભાઈએ રૂમનો દરવાજો ખોલ્યો ન હતો. જેથી હોટલના સ્ટાફે માસ્ટર કીથી દરવાજો ખોલ્યો હતો. જ્યાં ધર્મેશ પરમાર અર્ધ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તબીબો દ્વારા પ્રાથમિક તપાસ બાદ ધર્મેશભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે પોલીસે હોટેલ રૂમમાં જઈને તપાસ કરતા રૂમમાંથી એક ઝેરી દવાની શીશી પણ મળી આવી છે. તો સાથે જ મૃતક ધર્મેશ પરમારની ગતિવિધિ હોટેલના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. પરંતુ પોલીસને કોઈ શંકાસ્પદ હિલચાલ જણાઈ આવી ન હતી.

પરિવારના સભ્યોએ પોલીસને જણાવ્યું હતું કે, ધર્મેશ ભાઈ ખૂબ સરળ સ્વભાવના હતા. તેઓ પોતે આર્થિક રીતે ખૂબ સધ્ધર હતા. એટલે આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હોય તેવી કોઈ શક્યતાઓ જ નથી. ધર્મેશભાઈ હોટેલમાં કેમ ગયા તે એક મોટું રહસ્ય છે. જેથી સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ થવી જોઈએ. ધર્મેશભાઈએ અચનક આપઘાત કરી લેતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. તેમજ પોલીસ દ્વારા સમગ્ર મામલે તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી છે.

ધર્મેશ પરમારના ભાઈ રાજેન્દ્ર પરમારે પોલીસને કહ્યું કે, ‘મારો ભાઈ ક્યારેય આપઘાત ન કરી શકે!

ઉલ્લેખનીય છે કે પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, મૃતક ધર્મેશ પરમાર આર્થિક રીતે ખૂબ સદ્ધર હતા. પોતે સોનીના વ્યવસાય સાથે એક ફાઇનાન્સર પણ હતા, તો પછી એવી તો શું આફત પડી આવી કે તેમને હોટેલમાં રૂમ બુક કરાવી અચાનક આપઘાત કરી લીધો? આવા તો અનેક સવાલો છે કે જે આપઘાતની ઘટનાનું રહસ્ય ઘેરું બનાવી રહ્યા છે. ત્યારે સમા પોલીસ દ્વારા જો સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ હાથ ધરાય તો અનેક રહસ્યો પરથી પડદો ઊંચકાઈ શકે છે.

(6:04 pm IST)