Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

"આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત સાયક્લોથોન રન મહારેલી - બી.એસ.એફ.ના નવ જવાનોને આશીર્વાદ આપતા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ...

બીએસએફના જવાનોને શ્રી સ્વામિનારાયણ મંદિરે રહેવા તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી...

ભારત સરકાર તરફથી આયોજિત "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત જમ્મુથી દાંડી ગુજરાત સુધી લગભગ ૧૭૦૦ હજાર કિલોમીટરની મહા રેલી અવસર પર ઉપસ્થિત બીએસએફના જવાનોને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે પ્રેમ આદર પૂર્વક તેમનું સ્વાગત કર્યું હતું અને ભારત માતાની રક્ષા હેતુ પોતાનું બલિદાન આપતા બીએસએફના જવાનોને દેશની રક્ષા માટે આવાહન કર્યું હતું. 

દેશની સરહદોની સુરક્ષા દિનરાત ખડેપગે રહેતા બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ કાશ્મીરથી દાંડી - ગુજરાત સુધીની એક અનોખી સાયકલ યાત્રાનું આયોજન કર્યું છે. ગાંધી જયંતી, ૨  ઓક્ટોબરના રોજ આ સાયકલ યાત્રા દાંડી પહોંચી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

દેશની સુરક્ષામાં વ્યસ્ત જવાનો એક અનોખા મિશન હેઠળ આ યાત્રાએ નીકળ્યા છે ત્યારે તેમનું યથા યોગ્ય સ્વાગત થાય તે આપણી સૌની ફરજ છે.. ભારત રાષ્ટ્રના સીમાડાઓ સાચવનારા આ જાંબાજ જવાનો "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત એકતા અખંડિતતા અને ફિટનેસના ધ્યેય મંત્ર સાથે નીકળ્યા છે ત્યારે સમાજમાં તેની હકારાત્મક અસર અને સંદેશો પહોંચશે તે પણ એટલું જ નિશ્ચિત છે.

આખો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આઝાદીની લડાઇમાં અનન્ય યોગદાન આપનારા અમદાવાદ નગરના શહેરીજનોએ ત્રિદિવસીય કાર્યક્રમ દરમ્યાન આ સાયકલ યાત્રાને ઉત્સુકતાથી વધાવી હતી.

આજરોજ તા. 27 મી સપ્ટેમ્બર સવારે સાયકલ યાત્રા અમદાવાદથી આણંદ જવા માટે પ્રસ્થાન કરાવ્યું ત્યારે આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે,

સન્ ૧૯૬૫ અને ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં બી.એસ.એફના જવાનો અને સૈનિકો માટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આદ્ય આચાર્યપ્રવર સનાતન ધર્મસમ્રાટ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ દેશના જાંબાજ જવાનો માટે બ્લડ ડોનેશન કેમ્પ, મોટરગાડી વગેરે નાની મોટી અનેક જરૂરિયાતોની સુવિધા પુર્ણ કરી હતી. એ ગુરુદેવ મુક્તજીવન સ્વામીબાપાના દેશદાઝના ઐતિહાસિક કાર્યને આગળ ધપાવતા  આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે પોતાના સંતોની સાથે કચ્છ - ખાવડા બોર્ડર તથા વાઘા બોર્ડર - પંજાબ પર દેશની રક્ષા કરનાર બીએસએફના જવાનો અને સૈનિકોને પ્રેમથી પ્રોત્સાહિત કર્યા હતા અને એમના માટે પાણી પીવાની સુવિધા ફ્રીજ, ડીપ ફ્રીજ, એરકન્ડિશનર, એરકુલર, સોલાર લાઇટ વગેરે અનેક જરૂરિયાત સેવા યથાશક્તિ પૂર્ણ કરી હતી, જેનો એમને મન અત્યધિક આનંદ હતો.

આ પાવન અવસરે બીએસએફના એ.કે.તિવારી (કમાન્ડટ) સરબજીત સિંઘ, પ્રેમ સિંઘ, મહેન્દ્ર સિંઘ,

અજમેર રાણા, વિશાલ સોલંકી એ.કે.ઝા, ડો. સત્યાનંદ વગેરે પોલીસ અધિકારીઓ, શિવમ્ ચેરિટેબલ ટ્રસ્ટના ડોક્ટર પ્રકાશ કૂરમી વગેરે અનેક લબ્ધ પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહી અને બીએસએફના જવાનોને જુસ્સો તેમજ ઉત્સાહ પ્રેર્યો હતો.

વળી, ૧૭૫ થી વધુ બીએસએફના જાંબાજ નવ જવાનોને ત્રણ દિવસ સુધી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં રહેવા તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

(2:45 pm IST)