News of Friday, 27th May 2022
રાજકોટ, તા., ૨૭: બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના સભ્યપદેથી ગુજરાત બાર કાઉન્સીલના મેમ્બર દિલીપ પટેલને રીકોલ કરાયો હોવાની અને ર૯ મેના ગુજરાત બાર કાઉન્સીલની એકસ્ટ્રા ઓર્ડીનરી મીટીંગ બોલાવાઇ હોવા અંગે સ્પષ્ટતા કરતા બી.સી.આઇ.ના મેમ્બર દિલીપ પટેલે જણાવ્યું હતું કે, ગેરરીતીના આક્ષેપો ખોટા છે અને ગુજરાત બાર કાઉન્સીલના અન્ય સભ્યને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયામાં તક મળે તે માટે ૨૯મીએ ગુજરાત બાર કાઉન્સીલની એકસ્ટ્રા ઓર્ડીનરી મીટીંગ બોલાવાઇ હોવાનું જણાવ્યું હતું.
બી.સી.આઇ.ના સભ્ય અને ગુજરાત બાર કાઉન્સીલના સીનીયર સભ્ય દિલીપ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ગૃપમાંથી ર મેમ્બરોને પાંચ વર્ષ માટે મોકલવાનું જે તે વખતે ગુજરાત બાર કાઉન્સીલમાં ચુંટાયેલ સમરસ ગૃપે નક્કી કરેલ હતું અને તેના ભાગ રૂપે મને અઢી વર્ષ માટે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર તરીકે મોકલાયો હતો. પરંતુ કોરોનાના કારણે મારી એક વર્ષ મુદત વધારાઇ હતી. સમરસ ગૃપ દ્વારા નક્કી થયા મુજબ ગુજરાત બાર કાઉન્સીલના અન્ય સભ્યને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયામાં મોકલવા માટે આગામી ર૯મીએ ગુજરાત બાર કાઉન્સીલની એકસ્ટ્રા ઓર્ડીનરી મીટીંગ યોજાનાર છે.
દિલીપ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મારી સામેના ગેરરીતીના આક્ષેપો ખોટા છે. તેમજ મને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયામાથી રીકોલ (પાછા બોલાવવા)ના અહેવાલો પણ પાયાવિહોણા છે. બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બરની પસંદગી તથા પાછા બોલાવવા માટે(રીકોલ)ગુજરાત બાર કાઉન્સીલની બેઠક બોલાવવી પડે છે અને તેમાં નવા મેમ્બરોની પસંદગી માટે બાર કાઉન્સીલના મહતમ સભ્યોએ સહી કરી બાર કાઉન્સીલને જાણ કરવાની હોય છે. ત્યાર બાદ બાર કાઉન્સીલ જનરલ બોર્ડ બોલાવી તેમાં ઠરાવ કરી બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાને મોકલે છે. આ ઠરાવ મંજુેર થયા બાદ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત જનરલ બોર્ડ બોલાવી નવા મેમ્બર માટેની પ્રક્રિયા શરૂ કરે છ. આ પ્રક્રિયામાં નવા મેમ્બર માટે ચુંટણી તારીખ ફોર્મ ભરવાની તારીખ, પરત ખેંચવાની તારીખ, જાહેર થયા બાદ નવા મેમ્બરોની બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયામાં મોકલવામાં આવે છે. ર૯ મીની મીટીંગ બીસીઆઇના નવા સભ્યના પસંદગી માટે યોજાનાર છે.