News of Saturday, 26th September 2020
અમદાવાદ : સામાન્યત: દારૂબંધીના મુદ્દાને લઇને શંકરસિંહ વાઘેલા અવારનવાર ચર્ચામાં આવતા હોય છે. ત્યારે તાજેતરમાં જ શંકરસિંહ વાઘેલાએ એક વાર ફરી દારૂબંધીની છૂટ આપવા મામલે અભિયાન શરૂ કર્યું છે. જેમાં @Bapu4Gujarat નામના ટ્વિટર પેજ પર ‘શું તમે પણ દારૂબંધીની ખોટી નીતિનો વિરોધ કરો છો? તો #AgainstLiquorBanChallenge હેશટેગ સાથે પોસ્ટ કરી અવાજ ઉઠાવો.’
શંકરસિંહ વાઘેલાએ પોતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પણ પાંચ વચનોનું પંચામૃત કરીને પાંચ મુદ્દાઓની રજૂઆત કરી હતી. જેમાં 1. દારૂબંધીના નાટકથી છુટકારો 2. આરોગ્યની સુરક્ષા 3. મફત શિક્ષા 4. યુવાનોને રોજગાર 5. ફ્રી વિજળી અને પાણી જે આપણા ગુજરાતના મૂળભૂત વિકાસનો વાયદો કરે છે.
આ અગાઉ પણ શંકરસિંહ વાઘેલાએ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, “હું ગુજરાતમાંથી છું અને ગુજરાતમાં દારૂબંધી નીતિ છે. હું જાહેર જીવનમાં એવું પસંદ કરું છું કે કોઈ દારૂ ન પીવે. હું જ્યારે જાહેર જીવનમાં ન હોતો ત્યારે દારૂ પીતો હતો. મે ઘણો દારૂ પીધો છે. મોરારજી દેસાઈની એક વાત હતી કે ડબલ સ્ટાન્ડર્ડ જીવન ન જીવવું જોઈએ. ત્યારથી મે પાણી લઈ લીધું છે કે અહીં, નહીં કે દુનિયામાં કોઈ પણ જગ્યાએ જઈએ ત્યાં બિયર પણ ન પીવું”
આ અગાઉ પણ તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “બ્લેકમાં વેચાતા જીવલેણ ડુપ્લીકેટ દારૂને કારણે અત્યાર સુધીમાં 35 વર્ષથી નીચેના લાખો બહેનો વિધવા થયા છે અને જે રૂપિયા સરકારની તિજોરીમાં આવવા જોઈએ તે બ્લેકમની સ્વરૂપે અસામાજિક તત્વો, બૂટલેગરો અને પાર્ટી ફંડમાં જાય છે! જો મારી સરકાર આવશે તો તુરંત જ આ દારૂબંધીનું નાટક બંધ કરવામાં આવશે!”
આ અગાઉ પણ 19 મે 2020ના રોજ શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “ગુજરાતમાં દારુબંધી એ એક નાટક છે. ગુજરાતની સાડા છ કરોડ પ્રજામાંથી કદાચ ચાર કરોડ લોકો એવું ઇચ્છતા હશે કે આવી દારુબંધીની ઢોંગી નીતિ બદલાવી જોઇએ એવું હું માનુ છું. જો મારી સરકાર આવશે તો સૌથી પહેલું કામ દારૂબંધીની આ ઢોંગી નીતિને તોડવાનું કરીશ. 100 દિવસમાં કાયદો થશે અને કાયદો એવો થશે કે લોકોએ દારૂ પીવા દિવ-દમણ, આબુ, ગોવા, મુંબઇ કે રાજસ્થાન જવાની જરૂર નહી પડે.”
દારૂબંધીની નીતિનો વિચાર થવો જોઈએ: વાઘેલા
ગુજરાતમાં દારૂબંધી છે. એટલા માટે હું દેશની જનતાને અને ગુજરાતની જનતાને કહેવા માગું છું કે દારૂબંધીની નીતિથી ભ્રષ્ટાચાર વધે છે. પોલીસનું વધારે કામ દારૂને પકડો અને તેનો નાશ કરવાનું થઈ જાય છે. એટલાં માટે દારૂબંધીની નીતિનો વિચાર થવો જોઈએ. સાયન્ટિફિક પોલિસી થવી જોઈએ અને આ પોલિસી આ બાબતે હું પંચામૃત નામની વસ્તુ ગુજરાતની જનતાને આપવા માગું છું કે જેમાં દારૂબંધી હટાવો અને સાયન્ટિફિક એપ્રોચવાળી દારૂબંધી નીતિ વિશ્વભરમાં છે તેવી નીતિ તૈયાર કરવામાં આવે અને તેના કારણે ગુજરાતની અંદર આવકમાં વધારો થશે.”