Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

રાજ્યના ૬૭૭ ASIને અપાશે PSIનું પ્રમોશન

અગિયાર મહિના માટે બિન હથીયારી એએસઆઇની પ્રમોશન આપવાની ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની જાહેરાત

રાજકોટ તા. ૨૬: રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતાં ૬૭૭ બિન હથીયારી એએસઆઇ (આસી. સબ ઇન્સ્પેકટર)ને અગિયાર મહિના માટે એટલે કે હંગામી ધોરણે પીએસઆઇ (પોલીસ સબ ઇન્સ્પેકટર) તરીકે પ્રમોશન આપવામાં આવશે. રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધાનું ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને વધુ સુદ્રઢ બનાવવા માટેના પગલાઓને વધુ અસરકારક રીતે લાગુ કરી શકાય તે હેતુથી રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજયના ૬૭૭ બિન હથિયારી એએસઆઇને હંગામી ધોરણે ૧૧ માસ માટે પીએસઆઇ તરીકે પ્રમોશન આપવા માટેનો મહત્વનો નિર્ણય લેવાયો હોવાનું ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવી   ઉમેર્યુ હતુ કે બિન હથિયારી એએસઆઇને ગુજરાત પોલીસ મેન્યુઅલમાં હંગામી  ધોરણે એડહોક બઢતી આપવાની જોગવાઇ છે અને તે મુજબ બિન હથિયારી એએસઆઇને ૧૧ મહિનાથી વધે નહિ તે રીતે હંગામી ધોરણે પ્રમોશન અપાશે.

ગુન્હાની તપાસ, તેને લગતા સાધનીક કાગળો તૈયાર કરવાની કામગીરી, નિવેદનો મેળવવા, ગુન્હાને સબંધિત પુરાવાઓ એકત્રિત કરવા, કેસની તપાસ કરવામાં તથા  નામદાર કોર્ટમાં મુદત્ત સમયે હાજરી આપવામાં પીએસઆઇની ભૂમિકા ચાવીરૂપ હોય છે.  બઢતીને કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્રઢ બનશે તેમજ રાજ્યમાં કોરોના સંક્રમણના નિયંત્રણને અટકાવવા રાત-દિવસ સતત ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને તેઓની ફરજો વધુ ઉત્સાહ પૂર્વક બજાવવાની પ્રેરણા મળશે. તેમ શ્રી જાડેજાએ વધુમાં જણાવ્યું હતું.   

(3:08 pm IST)