Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ડાકોર-ઉમરેઠ રોડ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ચાલકનું મૃત્યુ

આણંદ : ડાકોર-ઉમરેઠ માર્ગ ઉપર એક સોસાયટી સામે કોઈ અજાણ્યા વાહનના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે નીપજ્યું હતું. આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ઉમરેઠની સર્વમંગલ સોસાયટીમાં રહેતા નિલેશકુમાર ગોરધનભાઈ પટેલ (ઉં.વ. ૪૫) ગઈ ૨૦મી જાન્યુઆરીએ રાત્રિના સુમારે પોતાનું ટુ-વ્હીલર લઈ ડાકોરથી ઉમરેઠ તરફ આવી રહ્યા હતા. દરમ્યાન રાત્રિના દશેક વાગ્યાના આસપાસના સુમારે તેઓનું એક્ટિવા ઉમરેઠની અંબિકાનગર સોસાયટી સામે રોડ ઉપરથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેફીકરાઈથી હંકારી નિલેશભાઈના એક્ટિવાને ટક્કર મારી હતી. અકસ્માતને પગલે નિલેશભાઈ પટેલ રસ્તા ઉપર ફંગોળાયા હતા. જેથી તેઓને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં ત્યાં પહોંચેલી ૧૦૮ના સ્ટાફે નિલેશકુમારને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ઉર્વેશભાઈ પટેલે ઉમરેઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(7:34 pm IST)