Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

દાંડાઈ કરશે તેને તેની જ ભાષામાં કાયદો જવાબ આપશે : શંકર ચૌધરી

શંકર ચૌધરીના આકરા તેવરનો એક વીડિયો વાયરલ : વિધાનસભા અધ્યક્ષે મતવિસ્તારની મુલાકાત દરમિયાન તોફાની તત્વોની શાન ઠેકાણે લાવવા આ નિવેદન આપ્યું

થરાદ, તા.૨૩ : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીના આકરા તેવરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ જાહેર મંચ પરથી કહી રહ્યા છે કે કોઈએ ભૂલથી પણ અખતરો કરવો નહીં, માખી કરડે તો તેનું પરિણામ આખા મધપુડાને ભોગવવું પડશે. હું ધ્યાન પણ રાખીશ અને હિસાબ પણ રાખીશ. વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં પણ શંકર ચૌધરી ચર્ચામાં આવ્યા હતા. એ સમયે તેમણે કહ્યું હતું કે 'મારા કાર્યકર્તાઓને ધમકાવનારાઓની સીધી મારી સાથે દુશ્મનાવટ છે એમ સમજજો, તેમની ભાષામાં જવાબ આપવાની વ્યવસ્થા થશે અને કોઈ તમારી ગાડી રોકે તો કહેજો થરાદથી આવું છું. થરાદના દુધવામાં મતવિસ્તારની મુલાકાત અને આભાર દર્શન કરવા દરમિયાન શંકર ચૌધરીએ તોફાની તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી.

આ વીડિયોમાં તેઓ કહી રહ્યાં છે કે, કોઈપણ આવારા તત્વો દ્વારા આગેવાન, કાર્યકર્તા કે પછી પ્રજાને તકલીફ પડી તો કાયદો કાયદાનું કામ કરશે. જો પ્રેમ અને લાગણી રાખશે તેના માટે ચાર વખત નમીશ. પરંતુ જો કોઈ દાંડાઈ કરશે તો તેને એની જ ભાષામાં જવાબ કાયદો આપશે.ખોટા અખતરા કરનારા ભૂલથી પણ અખતરા ના કરે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મતવિસ્તારની મુલાકાત દરમિયાન તોફાની તત્વોની શાન ઠેકાણે લાવવા આ પ્રકારનું નિવેદન આપ્યુ હતું.

શંકર ચૌધરીનો સામે આવેલો વીડિયો થરાદના દૂધવા ગામનો છે, જ્યાં તેમણે જાહેર મંચ પરથી અસામાજિક તત્ત્વો અને માથાભારે આગેવાનોને સંબોધીને કહ્યું હતું કે કોઈપણ આગેવાનથી પ્રજાને મુશ્કેલી પડી તો પછી કાયદો કાયદાનું કામ કરશે. આ વાત જાહેર મંચ પરથી એટલે કહેવી પડે છે કે સ્વભાવ અને ઇતિહાસ બધાએ જોઈ લેવો પડે અને સમજી લેવો પડે. જે પ્રેમ અને લાગણી રાખશે તેને ચાર વખત નમવાની તૈયારી, પણ જો કોઈ ટણીનો ભાવ રાખશે તો તેનો જવાબ તેની ભાષામાં જ અપાશે.

 હું પ્રેમ અને લાગણીથી તમારો આભાર માનવા આવ્યો છું પણ મને લાગ્યું કે દૂધવા ગામથી આ બાબત મારે કહેવી પડશે એટલે કહ્યું.

 

 

 

 

 

 

 

(7:14 pm IST)