Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

એકલા સફળ થવાય, પણ એકલાથી સફળ થવાનું નથી : પૂ. રત્‍નસુંદરસૂરીશ્વરજી મ.સા.

સ્‍પર્શ મહોત્‍સવમાં જૈનાચાર્ય શ્રી રત્‍નસુંદરસૂરીશ્વરજી મ.સા.ના ૪૦૦મા પુસ્‍તક સ્‍પર્શનું વિમોચન : સંસ્‍કૃત, બ્રેઇન લીપી, હીબ્રુ, અંગ્રેજી, તામીલ, કન્‍નડ સહિતની દેશ-વિદેશની કુલ ૧૬ ભાષાઓમાં અનુવાદ

(કેતન ખત્રી,અમદાવાદ)તા.૨૩ : સ્‍પર્શ નગરીમાં આઠમા દિવસે, રવિવારે પદ્મભૂષણ થી સન્‍માનિત, જૈનાચાર્ય શ્રી રત્‍નસુંદરસૂરીશ્વરજી મ.સા.ના ૪૦૦મા પુસ્‍તક ‘સ્‍પર્શ'ના વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. સંસ્‍કૃત, બ્રેઈલ,હીબ્રુ, અંગ્રેજી, કન્નડ, તામીલ, પંજાબી સહિત દેશ-વિદેશની કુલ-૧૬ ભાષાઓમાં આ ગ્રંથનું પ્રત્‍યક્ષ તથા ડિજિટલ વિમોચન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે સંયમૈકલક્ષી પ.પૂ.આ.શ્રી જગત્‍ચંદ્રસૂરી મ.સા., ત્રિસ્‍તુતિક ગચ્‍છાધિપતિ આચાર્ય શ્રી નિત્‍યસેનસૂરીશ્વરજી મ.સા. સહિત વિવિધ સમુદાયના પૂજય આચાર્ય ભગવંતોની પણ નિશ્રા રહી હતી.

ઉલ્લેખનીય છે કે જૈન ઇતિહાસમાં વર્તમાન કાળમાં સૌ પ્રથમવાર કોંગ્રેસ ઓફ યુનાઇટેડ સ્‍ટેટ્‍સ,  હાઉસ ઓફ રીપ્રેઝન્‍ટેટિવના હાઉસ મેજોરિટી લીડર, સ્‍ટેની એચ. હોયરે ૪૦૦મા પુસ્‍તકનું ડિજિટલ અનાવરણ અમેરિકામાં કર્યું.

અમેરિકાના સેનેટર સ્‍ટેની એચ. હોયરે પોતાના હૃદયના ઉદગાર વ્‍યક્‍ત કરતાં કહ્યું કે - અમેરિકાની દરેક યુનિવર્સિટીમાં આ ‘સ્‍પર્શ' પુસ્‍તકને અભ્‍યાસક્રમમાં લાવવું જોઈએ. જયારે હાસ્‍ય લેખક ડો.જગદીશભાઈ ત્રિવેદીએ કહ્યું હતું કે આ સ્‍પર્શ મહોત્‍સવ મારા માટે મનોરંજન નહીં પરંતુ આત્‍મરંજનનો કાર્યક્રમ બની ગયો છે.

સરસ્‍વતીલબ્‍ધ પ્રસાદ આચાર્ય ભગવંત શ્રી રત્‍નસુંદરસરિશ્વરજી મહારાજ સાહેબે જણાવ્‍યું હતું કે જેમ બાળક નાનો હોય ત્‍યારે તેનામાં બેટ પકડવાની કે પેન પકડવાની ક્ષમતા હોતી નથી ત્‍યારે તેની માતા ધીરે-ધીરે બાળકનો હાથ પકડીને તેને શીખવે છે. એ જ રીતે મારા જીવન જે પણ કંઈ પ્રાપ્ત થયું છે, તેની સંપૂર્ણ સફળતાનો શ્રેય મારા ગુરુરૂપી માતાને જાય છે.

યાદ રાખજો, એકલા સફળ થઈ શકાય, પરંતુ એકલા થી કદી સફળ થવાતું નથી. શક્‍તિનું સામર્થ્‍ય ગમે તેટલું વધે, પરંતુ પાયામાં રહેલા સમર્પણને કદી ન ભૂલવું જોઈએ.

વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત શ્રાવક-શ્રાવિકાઓને જૈનાચાર્ય રત્‍નસુંદરસૂરીશ્વરજીએ કહ્યું કે  જીવનમાં સંયમ, સંસ્‍કાર, શુદ્ધિની સાથે સંસ્‍કાર રાખજો. આ સંદર્ભે કહેવું છે કે સેક્‍સ એજયુકેશનથી ભારતના ૧૫ કરોડથી વધુ યુવા પેઢીને બચાવવાની હતી, તેની પાછળ જે અમારા પ્રયાસો થયા છે, પરંતુ તેમાં અમારા ગુરુદેવ અને નેમિનાથ પ્રભુ અમારી સાથે નિરંતર રહ્યા હતા. ૪૦૦મા પુસ્‍તકના વિમોચન પ્રસંગે એટલું જ કહેવાનું કે આની પાછળ પ્રભુની કરુણા, ગુરુદેવની કૃપા, સંઘના આશિષ, મા સરસ્‍વતીની સતત શુભકામનાને જાય છે. 

જૈનાચાર્ય રત્‍નસુંદરસૂરીશ્વરજીએ કહ્યું કે, ‘અમારા ગુરૂવર્યજીએ અમને મંગળ પંચક એટલે કે પાંચ વસ્‍તુઓ આપી છે. ઉત્તમ આદર્શ, ઉત્તમ આલંબન, ઉત્તમ આચરણ, ઉત્તમ અધ્‍યવસાય અને ઉત્તમ અનુરાગ છે.'

(10:54 am IST)