Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

અમદાવાદમાં પારિવારીક ડખ્ખામાં પત્નિની હત્યા કરનારા પતિને સગા ભાઇએ જ જેલહવાલે કરાવ્યો

અમદાવાદ : પરપ્રાંતિય પરિવારના ડખ્ખામાં પતિએ પત્નિને મોતને ઘાટ ઉતારતા ચકચાર જાગી છે. આ પ્રકરણમાં હત્યા કરનાર પતિને તેના સગાભાઇને જેલ હવાલે કરાવ્યો છે.

આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ ઉતરપ્રદેશના આગ્રા જીલ્લામાં આવેલ દેવપુરા ગામમાં રહેતા સુનીલનાં બે વર્ષ પહેલાં નિશા સાથેે લગ્ન થયાં હતાં. લગ્ન બાદ દંપતિ દેવપુરા સંયુકત પરિવારમાં રહેતા હતા. જોકે સંયુકત પરિવારમાં રહેવાના કારણે નિશા અને સુનીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી હતી. સંયુકત પરિવારના કારણે ઘરકંકાસ વધી જતાં એક મહિના પહેલાં સુનીલ અને નિશા યુપીથી અમદાવાદ આવી ગયાં હતાં.

વાસુદેવ ઠાકુરની પત્ની ઘરેલુ ઝઘડાના કારણે બે મહિના પહેલાં પિયર જતી રહી હતી, જેના કારણે દેવપુરા ગામમાં ઠાકુર સમાજના ઘરેલુ ઝઘડાને લઇને પંચ બેસવાનું હતું. રવિવારના સાંજના સમયે સુનીલના મોબાઇલ પર તેની માતાનો ફોન આવ્યો હતો અને આ સમાચાર આપ્યા હતાં.

ફોન પત્યા બાદ સુનીલે નિશાને આ મામલે વાત કરી હતી. જેમાં નિશા ઉશ્કેરાઇ હતી અને તમારૃ ખાનદાન જ ખરાબ છે તેમ કહીને પંચાયતમાં તમારા પરિવાર વિશે જ બોલશે તેવું કહ્યું હતું. બન્ને વચ્ચે બબાલ થતાં નિશાએ સુનીલને લાફો મારી દીધો હતો, જેમાં સુનીલે ઉશ્કેરાઇને તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

નિશાની હત્યા કર્યા બાદ તેની લાશ પાસે બેસીને સુનીલે તેના ભાઇ વાસુદેવને ફોન કર્યો હતો અને નિશાની હત્યા કરી નાખી હોવાના સમાચાર આપ્યા હતા. પોલીસ અને વાસુદેવ પહોંચે તે પહેલાં સુનીલ નિશાની લાશ મૂકીને ફરાર થઇ ગયો હતો. વાસુદેવ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પોલીસને જાણ કરી હતી.

હત્યા બાદ સુનીલ સીટીએમ બ્રિજ નીચે સુઇ ગયો હતો. બીજા દિવસે સુનીલે તેના અલગ સિમકાર્ડથી વાસુદેવને ફોન કર્યો હતો. સુનીલ પોલીસમાં હાજર થઇ જાય તે માટે વાસુદેવે પોલીસને જાણ કરી દીધી હતી. વાસુદેવે સુનીલને મળવા માટે બોલાવ્યો હતો, જયાં પોલીસે વોચ ગોઠવીને તેને ઝડપી પાડયો હતો.

(7:51 pm IST)