Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

વટવા-ગામડી ખારીકટ કેનાલમાંથી નવજાત મૃત બાળકી મળી આવતા ચકચાર

વટવા:વટવા-ગામડી રોડ પર આવેલી ખારીકટ કેનાલમાંથી ગઈ કાલે નવજાત બાળક મૃત હાલતમાં મળી અાવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે વટવા પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસે બાળકની લાશને પીએમ માટે મોકલી અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ વટવા-ગામડી રોડ પરના મહાદેવપુરા વિસ્તારમાં આવેલા ભરવાડવાસમાં મૂકેશભાઈ ભરવાડ રહે છે. તેમના ઘરની બહાર આવેલી કેનાલ પર ગઈ કાલે સવારના ૧૦.૩૦ વાગ્યાની આસપાસ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. કેનાલ પર જઈને જોતાં પાણીમાં એક નવજાત બાળક તરતું જોવા મળ્યું હતું, જેથી તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરાતાં વટવા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

બાળકની લાશને બહાર કાઢીને જોતાં કોઈ મહિલાએ જન્મ છુપાવવાના ઇરાદે આશરે પાંચેક મહિનાનું બાળક ત્યજી દીધું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે હાલમાં અજાણી સ્ત્રી વિરુદ્ધ આ અંગે ગુનો નોંધ્યો છે.

જન્મ પહેલાં કોઈએ કેનાલમાં બાળકને ત્યજી દીધું છે કે તેની હત્યા કર્યા બાદ તેને કેનાલમાં ફેંકી દેવાયું છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ૧૫ દિવસ પહેલાં પણ સાબરમતી નદીમાંથી પણ એક નવજાત બાળક તરતી હાલતમાં મળી આવ્યું હતું. શહેરમાં નવજાત બાળકોને મૃત હાલતમાં ત્યજી દેવાના કિસ્સાઅો બનતાં તે ચિંતાનો વિષય બન્યો છે.

(6:48 pm IST)