Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

૧૦૦ કરદાતાઓની કરોડોની મિલ્કતો ટાંચમાં લઇ બેંક એકાઉન્ટ સીઝ કર્યા

મોટા કરચોરો ઉપર ત્રાટકવા માટે આયકર વિભાગના અધિકારીઓ સજ્જઃ માર્ચ એન્ડિંગ સુધીમાં રાજયભરમાં મોટાપાયે દરોડા અને સર્ચ થશે

અમદાવાદ તા. રર :.. આક્રમક બનેલા આયકર વિભાગે એકસોથી વધુ કરચોરોની મિલકતો શરતી ટાંચમાં લઇ તેમના બેંક એકાઉન્ટસ સીઝ કરી દીધા છે. હજુ રાજયભરમાં આયકર વિભાગના સર્વે મોટાપાયે ચાલી રહ્યા છે. ત્યારે જ આ આંકડો અઢીસો પાર થઇ જાય તેવું અધિકારીઓ માની રહ્યા છે. જો કે ગુજરાત આયકર વિભાગે ચાલુ હિસાબી વર્ષમાં રૂપિયા ૩૪૮૩૮ કરોડ રૂપિયાના ટાર્ગેટ પુરો કરી દીધો છે. હવે ૩૧ મી માર્ચ સુધી બાકીના ૧ર૬૦ર કરોડ રૂપિયાનો ટાર્ગેટ પુરો કરવા માટે પાર્યે સર્ચ અને દરોડાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી ટાણે શાંતિ રાખીને બેઠેલા આયકર વિભાગના અધિકારીઓ અમદાવાદ સહિત રાજયભરના મોટા કરચોરોની આર્થિક ગતિવિધીઓ પર વોચ ગોઠવી દીધી હતી. પુરતું હોમવર્ક થઇ ગયું હોવાથી આગામી દિવસોમાં આયકર વિભાગ મોટા કરચોરો ઉપર ત્રાટકશે.

આયકર વિભાગે ગુજરાત સરકારને સોંપેલા રૂપિયા ૪૬૮૩૮ કરોડના ટાર્ગેટમાં રૂપિયા એક હજાર કરોડને બદલે આકરે રૂપિયા ૬૦ર કરોડનો વધારાનો ટાર્ગેટ ફાઇનલ કર્યો છે. જેને કારણે હવે આયકર વિભાગે રૂપિયા ૩૧મી મર્ચ સુધીમાં રૂપિયા ૪૭૪૪૦ કરોડ રૂપિયાની રીકવરી કરવાની રહેશે. ટાર્ગેટ એચીવ કરવા માટે ચિફ કમિશનરો દ્વારા પોતાની ટીમ પાસેથી રોજે રોજના ઇનપુટ લેવામાં આવી રહ્યા છે. બેનામી મિલકતો. ઓપરેશન કલીન મની તથા ટીડીએસ ડિફોલ્ટરોનો શોધવા ઉપરાંત નોટબંધી વખતે રૂપિયાના જે હવાલા પડયા હતાં. તે કાળાનાણાનાં મુળ શોધવા માટે પણ અધિકારીઓ કવાયત કરી રહ્યા છે.

 TDSના ૧૭૭પ૦ કરોડના ટાર્ગેટ સામે રૂપિયા ૧૪૦૦ની રિકવરી થઇ

ગુજરાત ઇનકમ ટેકસને સોંપાયેલા કુલ ટાર્ગેટમાં રૂપિયા ૧૭૭પ૦ કરોડનો ટાર્ગેટ ટીડીએસનો હતો. ચાલુ વર્ષે આજ દિન સુધીમાં કુલ રૂપિયા ૧૪૦૦૦ કરોડનો ટાર્ગેટ પુર્ણ થઇ ગયો હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. હવે હિસાબી વર્ષની પૂર્ણહૂતી સુધીમાં ૩૭પ૦ કરોડની રીકવરી કરવાની રહેશે. જો કે ટીડીએસ નહિ ભરતી કંપનીઓ અને પેઢીઓ પર સર્ચની કામગીરી ચાલી રહી છે. છેલ્લા દિવસોમાં કુલ ૧૧ર સ્થળે સર્ચ કરીને ઘણા ડિફોલ્ટરોને પ્રોસિકયુશન માટેની નોટીસો ફટકારવામાં આવી છે. જો કે નોટીસો મળતાં જ ટીડીએસના ડીફોલ્ટરો કમ્પાઉન્ડીંગ માટે એપ્રોચ કરી રહ્યા છે. આયકર વિભાગ ટીડીએસ ઉઘરાવી સરકારની તિજોરીમાં જમા નહિ કરાવતી કંપનીઓ સામે આકરા પગલા લેશે.

કાળા નાણાંનું રોકાણઃ ૮પ બેનામી પ્રોપર્ટી આઇડેન્ટીફાઇ કરાઇ

નોટબંધી બાદ જેમની પાસે બિન હિસાબી કરોડો રૂપિયા હતાં. તેમણે પોતાનું કાણુ નાણું બેનામી પ્રોપર્ટીમાં રોકી દીધું હતું. જે અંગે સરકારને પણ જાણકારી મળતાં તે અંગેનો કાયદો અમલમાં લાવી દેવાયો છે. સાથે સાથે દેશભરમાં બેનામી પ્રોપર્ટી શોધવા માટે આયકર વિભાગની ટીમો કામે લાગી ગઇ છે. ગુજરાતમાં ઇન્કમ ટેકસ વિભાગે બેનામી પ્રોપર્ટી શોધવા માટે ખાસ ટીમ તૈયાર કરી છે. આ ટીમે વધુ ૮પ બેનામી પ્રોપર્ટી આઇડેન્ટીફાઇ કરી લીધી છે. જે આગામી દિવસોમાં ટાંચમાં લેવાશે. ગુજરાતમાં જ કરોડો રૂપિયાની બેનામી પ્રોપર્ટી આયકર વિભાગે ટાંચમાં લઇ લીધી છે.

ઓપરેશન કિલન મનીઃ ર૯ સર્વેમાં ૬.રપ કરોડની કરચોરી

જે ખાતા વર્ષોથી સુષુપ્ત હતાં. તેમાં નોટબંધી ટાણે જ ટ્રાન્જેકશન શરૂ થઇ ગયા હતાં. લાખો રૂપિયાના વ્યવહારો થઇ ગયા હતાં. ત્યારે જ આયકર વિભાગે નોટબંધી ટાણે જ ખાતામાં બે લાખ કે તેથી વધુ રૂપિયાના વ્યવહારો થયા હશે. તેનો હિસાબ આપવો પડશે. હવે આયકર વિભાગ દ્વારા આવા ખાતાઓની તપાસ ઓપરેશન કલીન મની અંતર્ગત શરૂ કરવામાં આવી છે. સિનીયર ઓફીસરના જણાવ્યા મુજબ ઓપરેશન કલીન મની અંતર્ગત વધુ ર૯ સર્વે કરવામાં આવ્યા છે. જેમાં ૬.રપ કરોડ રૂપિયાની કરચોરી સામે આવી છે.

(10:15 am IST)