Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

પિતાનું દેહદાન કરવા માગતા પરિવારે કલાકો સુધી રાહ જોઈ

દેહદાન કરવા માંગતા પરિવારને થયો કડવો અનુભવ : સોલા અને અસારવા સિવિલમાં સ્વીકારવાની ના પાડી, આખરે ટ્રસ્ટની મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં દેહદાન કર્યું

અમદાવાદ, તા.૨૧ : અંગદાન એ જ મહાદાન. આ વાક્ય તમે અવારનવાર સાંભળ્યું હશે. વિવિધ સંસ્થાઓ અને સરકાર તરફતી લોકોને અંગદાન કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. પરંતુ અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા એક પરિવારને દેહદાન બાબતે કડવો અનુભવ થયો છે. મૃતકની ઈચ્છા અનુસાર દેહદાન કરવા માંગતા આ પરિવારે કલાકો સુધી રાહ જોવી પડી હતી. પરિવારજનોનો આરોપ છે કે, શહેરની બન્ને મોટી હોસ્પિટલ એટલે કે અસારવા સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા દેહદાન સ્વીકારવાની ના પાડવામાં આવી હતી. આખરે એક ટ્રસ્ટની મેડિકલ કોલેજ-હોસ્પિટલ દ્વારા દેહદાન સ્વીકારવામાં આવ્યુ હતું. પ્રાપ્ત જાણકારી અનુસાર શહેરના સેટેલાઈટ વિસ્તારમાં સ્થિત અર્જુન ટાવરમાં રહેતા ૭૨ વર્ષીય છગનભાઈ પટેલ(નામ બદલવામાં આવ્યું છે) પાછલા છ મહિનાથી લિવર કેન્સરથી પીડાઈ રહ્યા હતા.

        પાછલા થોડા દિવસોમાં તેમની તબિયત લથડી હોવાને કારણે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવેલી એવરોન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શુક્રવારના રોજ તેમની તબિયત વધારે લથડી ગઈ હતી. તેમની સારવાર કરનારા તબીબોએ પરિવારના લોકોને જાણ કરી હતી કે તેઓ હવે ગણતરીના કલાકોના મહેમાન છે. તબીબોની વાત સાંભળ્યા પછી પરિવારના અન્ય લોકોને પણ મુલાકાત માટે બોલાવી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન છગનભાઈના પુત્રને પિતાની ઈચ્છાનો વિચાર આવ્યો હતો. છગનભાઈની ઈચ્છા હતી કે તેમના મૃત્યુ પછી તેમના દેહનો ઉપયોગ માનવકલ્યાણ માટે કરવામાં આવે.

             આ માટે જ તેમણે દેહદાનની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમના મૃત્યુ પછી પુત્રએ એલ.જી. હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો, પરંતુ યોગ્ય અને જવાબદાર અધિકારીનો સંપર્ક નહોતો થઈ શક્યો. ત્યારપછી સોલા સિવિલ હોસ્પિટલમાં સંપર્ક કરવામાં આવ્યો. પરિવારનો આરોપ છે કે સોલા સિવિલ હોસ્પિટલમાંથી તેમને જવાબ મળ્યો હતો કે, કોરોના પછી અમે દેહદાનનો સ્વીકાર નથી કરતા. ત્યારપછી અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બી.જે.મેડિકલ કોલેજનો સંપર્ક કર્યો હતો. અહીં અનોટોમીના પ્રધ્યાપક તરફથી થોડા પ્રશ્નો પૂછવામાં આવ્યા અને પછી કહેવામાં આવ્યું કે લિવર કેન્સરના દર્દી હોવાને કારણે દેહદાન સ્વીકારી શકાય તેમ નથી.

(7:20 pm IST)