Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

શેરી શિક્ષણમાં માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સીંગનો અમલ નહીં : ખાનગી શાળામાં પાલન હોવા છતાં મંજૂરી કેમ નહીં

સરકારી સ્કૂલોમાં કોરોના ગાઈડલાઈનના પાલન વગર જ ચાલતા શેરી શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવતું હોવાથી સંચાલકોમાં નારાજગી

અમદાવાદ : રાજ્યની પ્રાથમિક શાળાઓમાં હાલમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું નથી ત્યારે સરકારી સ્કૂલોમાં શેરી શિક્ષણના નામે પ્રત્યક્ષ શિક્ષણ આપવામાં આવતું હોવાના મુદ્દે ખાનગી શાળા સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે. શેરી શિક્ષણમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનો અમલ થતો નથી. છતાં સરકાર દ્વારા તે ચલાવવા દેવામાં આવે છે. જ્યારે ખાનગી શાળાઓ તમામ નિયમોનું પાલન કરતી હોવા છતાં પ્રાથમિક વિભાગ શરૂ કરવાની હજુ સુધી મંજુરી અપાઈ ન હોવાનો આક્ષેપ ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોનાના કારણે પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ થઈ શક્યું ન હોવાથી ઓનલાઈન શિક્ષણ દ્વારા જ અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જોકે, આ દરમિયાન રાજ્યની ઘણી સરકારી સ્કૂલોના શિક્ષકો દ્વારા શેરી શિક્ષણ કે ફળિયા શિક્ષણ મારફતે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું હતું. જેની શિક્ષણમંત્રીએ નોંધ પણ લીધી હતી અને તેમની કામગીરીને બિરદાવી હતી. જોકે, હવે ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા આ શેરી શિક્ષણ સામે જ વિરોધ વ્યક્ત કર્યો છે. એક બાજુ સરકાર દ્વારા ખાનગી સ્કૂલોને પ્રાથમિક વિભાગ શરૂ કરવાની મંજુરી આપતી નથી, બીજી બાજુ સરકારી સ્કૂલોમાં કોરોના ગાઈડલાઈનના પાલન વગર જ ચાલતા શેરી શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવતું હોવાથી સંચાલકોએ નારાજગી વ્યક્ત કરી છે.

કોરોના સંક્રમણથી વિદ્યાર્થીઓને બચાવવા સરકાર દ્વારા ઘણા સમયથી શાળાઓ બંધ રાખવામાં આવ્યા બાદ હાલમાં જ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. જોકે, પ્રાથમિક વિભાગ માટે બેવડા ધોરણો જોવા મળી રહ્યા હોવાનો આક્ષેપ ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા ખાનગી શાળા સંચાલકોને પ્રાથમિક શાળાઓ શરૂ કરવા માટે કોઈ મંજુરી અપાતી નથી. જ્યારે સરકારી શાળાઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી શેરી શાળાઓના નામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું પ્રત્યક્ષ શિક્ષણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવ્યા વગર બેરોકટોક ચલાવવા દેવામાં આવી રહ્યું છે. જ્યારે ખાનગી શાળાઓ દ્વારા બધા નિયમો અને ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા છતાં તેમને પરવાનગી આપવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરાયો છે.

આ અંગે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરત ગાજીપરાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજુરી અપાયા બાદ જે રીતે રાજ્યની તમામ ખાનગી શાળા સંચાલકોએ પુરતી તકેદારી સાથે એક પણ બનાવ ન બને તેની કાળજી રાખીને વર્ગો શરૂ કર્યા છે તે રીતે જ્યારે હવે કોરોના કાબુમાં આવ્યો છે ત્યારે પ્રાથમિક શાળાના વર્ગો પણ શરૂ કરવા જોઈએ. પ્રાથમિક શાળાના વર્ગોને તબક્કાવાર ખોલવાની મંજુરી માટે મહામંડળ દ્વારા સરકારમાં વિનંતી કરીએ છીએ પરંતુ સરકારના બેવડા ધોરણો સામે આવ્યા છે. સરકારી શાળા દ્વારા શેરી શિક્ષણના નામે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવા છતાં તેમને પ્રત્યક્ષ શિક્ષણ કરવા દેવામાં આવે છે. જ્યારે ખાનગી શાળાઓ દરેક નિયમો અને ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરે છે તેમ છતાં તેમને મંજુરી સતત પાછી ઠેલવવામાં આવી રહી છે.

તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, આવો પક્ષપાત કેમ રાખવામાં આવે છે. ખાનગી ટ્યુશન ક્લાસીસને પણ મંજુરી છે, જે ઓછા સંસાધનોથી ચલાવવામાં આવતા હોય છે. જ્યારે શાળાઓ પાસે પુરતા સંસાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે તેમ છતાં તેને કોઈને કોઈ કારણોસર અવગણના કરવામાં આવી રહી છે. જે ખાનગી શાળાઓ અને તેમના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે અન્યાય છે તેવું મહામંડળનું માનવું છે. છેલ્લા દોઢ વર્ષ જેટલું વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણનું નુકશાન થયું છે અને તેમના માટે અભ્યાસના વર્ષો પણ અગત્યના હોવાથી સત્વરે સ્કૂલો શરૂ કરવાની મંજુરી આપવા માટે પણ માંગણી કરી છે.

(9:47 pm IST)