Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

વડોદરામાં માનસિક દિવ્‍યાંગ સહિત 4 વ્‍યકિતઓના જુદી-જુદી જગ્‍યાએ આપઘાતઃ અગાઉ 2 વખત મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો

પરિણીતાએ બેડરૂમમાં પંખે ગળેફાંસો ખાઇ લેતા અરેરાટી

વડોદરાઃ વડોદરામાં ચાર અલગ-અલગ ઘટનાઓમાં ચાર લોકોએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાઓમાં માનસિક અસ્વસ્થ પરિણીતા અને આધેડ સહિત ચાર વ્યક્તિઓએ આપઘાત કરી લીધો છે. પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કારેલીબાગ વિસ્તારમાં રહેતી 25 વર્ષની પરિણીતા છેલ્લા કેટલાક સમયથી માનસિક અસ્વસ્થ હતી.ગઇકાલે તેણે પોતાના ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.પોલીસે તેના ભાઇને વતન યુ.પી.થી બોલાવ્યો હતો.તેણે પોતાની બહેનને કોઇ ત્રાસ નહી હોવાનું જણાવ્યું હતું.આ મહિલાએ અગાઉ પણ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આજવારોડ વિસ્તારમાં રહેતા ૪૨ વર્ષના આધેડ એકલા જ રહેતા હતા. અને ટેલરિંગનું કામ કરતા હતા.ગત તા.૧૭ મી એ તેમણે ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આજે તેઓનું મોત થયું હતું. તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે,મૃતક માનસિક અસ્વસ્થ હતા. અને મેન્ટલ હોસ્પિટલની દવા પણ ચાલતી હતી. પરંતુ,તેઓ સમયસર દવા લેતા નહતા.બાપોદ પોલીસે સ્થળ પર જઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં વાસણારોડ સરોજપાર્ક સોસાયટીમાં રહેતી ૨૭ વર્ષની પરિણીતાએ બેડરૂમમાં પંખા પર ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ચોથા બનાવમાં સોમાતળાવની વ્રજધામ સોસાયટીમાં રહેતા ૫૬ વર્ષના મનુભાઇ કાળીદાસ તડવીએ ગત તા.૧૬ મી એ ઝેરી દવા પી લીધી હતી.તેઓનું સારવાર દરમિયાન મોત થયું છે.

(5:41 pm IST)