Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ગુજરાતનું બજેટ રૂ. ૧.૯૫ લાખ કરોડ હશેઃ 'દેવું કરીને ઘી પીવો' જેવો ઘાટ

રાજ્યનું બજેટ ૨૦ ફેબ્રુઆરીએ થશે જાહેરઃ GSTના કારણે રાજ્યના બજેટનો રંગ પડયો ઝાંખોઃ જુદા-જુદા વિભાગ પાસેથી મંગાવાઇ રહી છે યોજનાઓની વિગતોઃ જોકે બજેટ તૈયાર કરવામાં નથી પહેલા જેવો ઉત્સાહ

અમદાવાદ : રાજયના વાર્ષિક બજેટ ૨૦૧૮-૧૯ માટે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી ૧૯મી ફેબ્રુઆરીથી ૨૮મી માર્ચ સુધી મળવાનું છે. જે દરમિયાન ૨૦મી ફેબ્રુઆરીએ નાણામંત્રી નીતિનભાઈ પટેલ વર્ષ ૨૦૧૮-૧૯નું વાર્ષિક બજેટ રજૂ કરશે. આ વખતે રાજય સરકારના બજેટનું કુલ કદ રુપિયા ૧.૯૫ લાખ કરોડ જેટલું રહે તેવી સંભાવના છે. બજેટના કુલ કદનો સામાન્ય અર્થ એ થાય છે કે, જે તે વર્ષના અંત સુધીમાં બજેટના કુલ કદ જેટલી રકમ રાજય સરકાર દ્વારા ખર્ચાશે.

ચાલુ વર્ષ ૨૦૧૭-૧૮ના જુલાઈ માસથી વેટ સહિતના વેરા નાબૂદ કરીને તેના બદલે જુલાઈ-૨૦૧૭થી જીએસટીનો અમલ શરુ કરાયો છે જોકે, તેના પ્રથમ વર્ષે જીએસટીની આવકમાં ઘટાડો નોંધાયો છે અને વેરાની ધાર્યા મુજબની આવક થઈ નથી પરંતુ વેટની આવકની સરખામણીમાં જીએસટીની આવકમાં ઘટાડા જેટલી રકમ ભારત સરકાર દરેક રાજયોને સરભર કરી દેવાની હોવાથી રાજય સરકારને વેરાની આવક અંગે કોઈ ખાસ ચિંતા નથી.

રાજયના નાણા વિભાગ દ્વારા બજેટની તૈયારીઓ ગત સપ્ટેમ્બર-ઓકટોબર માસથી જ શરુ કરી દેવાઈ હતી. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને કારણે કેટલીક ઢીલ રખાઈ હતી જયારે હવે નવી સરકાર શાસનમાં આવ્યા બાદ ફરી એકવાર બજેટ માટેની બેઠકોનો ધમધમાટ શરુ થયો છે. ટૂંક સમયમાં જ દરેક વિભાગો પાસેથી તેમના આગામી વર્ષ માટેની ચાલુ યોજનાઓ, નવી યોજનાઓની વિગતો લેવામાં આવી રહી છે. જે યોજનાઓ પાછળ ચાલુ વર્ષમાં કોઈ ખર્ચ થયો ન હોય તેવી યોજનાઓ આ વખતે પડતી મૂકવાની ગણતરી છે.

ફેબ્રુઆરીની ૨૦મી તારીખે રાજય સરકારનું બજેટ રજૂ થવાનું હોવાથી છેલ્લા દિવસોમાં બજેટને આખરી રૂપ આપવામાં આવશે પરંતુ હાલની સ્થિતિએ આગામી બજેટની વિગતોની સંભાવનાઓ જરૂર વ્યકત થઈ રહી છે. અત્યાર સુધી વેટ સહિતના વેરાઓની આવકોને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરાતું હતુ પરંતુ હવે GSTના કારણે વેટ સહિતના વેરા નાબૂદ થતા રાજય સરકારના હાથમાંથી આવક નક્કી કરતી સત્ત્।ા ઓછી થઈ ગઈ છે. જેના કારણે અધિકારીઓમાં પણ બજેટને લઈને ખાસ ઉત્સાહ જોવા નથી મળી રહ્યો.

કોઈપણ રાજયના વાર્ષિક બજેટના કુલ કદમાં જાહેર કરાયેલી રકમનું મહત્વ એટલે વધુ છે કે, જે તે રાજયનું બજેટનું કુલ કદ જેટલું મોટું હોય છે, તેટલી તેની સધ્ધરતા-સમૃધ્ધિ વધુ મનાય છે એટલું જ નહીં પણ એ મુજબ તે રાજયના વિકાસની તકો વધુ સારી મનાય છે.

ગુજરાત સરકાર આ વખતે ૨૦૧૮-૧૯ના આગામી નાણાકીય વર્ષમાં તેના બજેટના કુલ કદની રકમનો, ૩૨ ટકા જેટલો હિસ્સો જીએસટી સહિતના વેરામાંથી પ્રાપ્ત કરવાની ગણતરી રાખી રહી છે. જોકે, અહીં ચોંકાવનારી બાબત એ છે કે, બજેટની આવક મુજબનો બીજા નંબરનો હિસ્સો એટલે કે ૧૬થી ૧૮ ટકા જેટલી રકમ સરકાર, જાહેર દેવું કરીને મેળવે તેવી શકયતા નકારી શકાતી નથી.

આ ઉપરાંત જીએસટી સિવાયના અન્ય વેરાની આવકમાંથી ૧૫ ટકા રકમ મેળવવાની ગણતરી હોઈ શકે છે. ભારત સરકાર દ્વારા ગુજરાતમાંથી જે વિવિધ વેરાની રકમ વસુલાય છે અને તેમાંથી રાજયને જે હિસ્સો મળે છે. તે પેટે આશરે ૧૪ ટકા રકમ ગુજરાતને મળે તેવી સંભાવના છે. એવી જ રીતે ભારત સરકાર દરેક રાજયોને જે સહાયક અનુદાન આપે છે. તેમાંથી ગુજરાતને તેના બજેટની કુલ આવકની ૯ ટકા જેટલી રકમ મળી શકે છે. કરવેરા સિવાયની આવક પેટે કુલ બજેટની ૧૨ ટકા રકમ મળશે.

(11:30 am IST)