Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારમાં 43 દિવસ બાદ ફરી ભૂકંપથી ધરા ધ્રુજી

ભૂકંપનું કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર 34 કિમી દૂર : ડેમ અને SOU ને 2.7 ની તીવ્રતાના ભૂકંપથી કોઈ જોખમ નથી

રાજપીપળા :કેવડિયા સરેચ્યું ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારમાં 43 દિવસ બાદ ફરી ભૂકંપથી ધરા ધ્રુજી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર 34 કિમી દૂર હોવા છતાં ડેમ અને SOU ને 2.7 ની તીવ્રતાના ભૂકંપથી કોઈ જોખમ નથી. આંચકાની સ્થાનિકો અને SOU ના પ્રવાસીઓને કોઈ અમુભતી થઈ ન હતી.

કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે શુક્રવારે 12.58 કલાકે 2.7 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ કેવડિયાથી માત્ર 34 KM દૂર નોંધાયું હતું. રિકટર સ્કેલ ઉપર 2.7 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અંગે કેવડિયાના રહીશો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા પ્રવાસીઓને કોઈ ખ્યાલ કે અસર અનુભવાય ન હતી.

જોકે, નર્મદા ડેમને કોઈ ખતરો નથી, કારણ કે, નર્મદા ડેમ 6.5 રિક્ટર સ્કેલના ભૂકંપમાં પણ તૂટે નહીં એવો મજબૂત છે. ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ, ગાંધીનગરના જણાવ્યા પ્રમાણે, આજે સવારે 12:58 કલાકે કેવડિયામાં 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જોકે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ સુરક્ષિત છે.

કેવડિયા વિસ્તારમા ગત 8 જુલાઇએ 43 દિવસ પહેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે 1.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. તે વખતે ભૂકંપનું કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી 50 કિમી નોંધાયું હતું અને ભૂકંપની ડેપ્થ 18.1 કિ.મી.ની હોવાનું જાણવા મળ્યું હતું.

સરદાર સરોવર નર્મદા ડેમની ડિઝાઈન અને બાંધકામ રિક્ટર સ્કેલ મેગ્નિટ્યૂડ અનુસાર, 6.5ની તીવ્રતા માટે અને ધરતીકંપનું કેન્દ્ર સરદાર સરોવર ડેમથી 12 કિ.મી.ની ત્રિજ્યામાં હોય તો પણ સલામત રહે એ રીતે કરવામાં આવ્યાં છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે પણ આ જ પ્રકારે ચુસ્ત ધારાધોરણ અપનાવવામાં આવ્યું છે. આમ, ધરતીકંપને કારણે સરદાર સરોવર ડેમ, એના અન્ય ભાગો તેમજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને કોઈપણ પ્રકારની વિપરીત અસર અનુભવાઈ નથી અને ઇજનેરી કૌશલ્યના પ્રતીક સમા આ બન્ને સ્ટ્રક્ચર્સ સંપૂર્ણપણે સલામત છે.

SOU સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું 6.5ની તીવ્રતાના ભૂકંપ તથા કલાકના 220 KM ની ઝડપે ફૂંકાતા પવનની અસર ન થાય તે રીતે નિર્માણ કરાયું છે.ભરૂચ અને નર્મદા જિલ્લામાં વિતેલા 50 વર્ષમાં 26 ભૂકંપના આંચકા નોંધાયા છે. ડેમના નિર્માણ બાદ નદી નીચેથી પસાર થતી ફોલ્ટ લાઈન સક્રિય થઈ જતા અવાર નવાર ભૂકંપના આંચકાઓ આવ્યા કરે છે. હાલ રક્ષાબન્ધનને 2 દિવસનો જ સમય બાકી છે ત્યારે ગત વર્ષે પણ રક્ષાબન્ધને જ ભરૂચ અને નર્મદાની ધરા ભૂકંપથી ધ્રુજી ઉઠી હતી.

(9:03 pm IST)