Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

કપડવંજ તાલુકાના સુલતાનપુર ગામે પતિ-પત્ની વચ્ચે થયેલ ઝઘડામાં પત્નીએ પતિને મોતનેઘાટ ઉતારી મૃતદેહને ઘરની બહાર દફનાવવાની કોશિશ કરતા ચકચાર

કપડવંજ: તાલુકાના સુલતાનપુરા તાબે વરઘરા ગામે પતિ-પત્નીના અણબનાવના કારણે પત્નીએ પતિનો જીવ લીધો હોવાની ઘટના ઘટી છે. જેમાં પત્નીએ લાકડાના ડંડાથી માર મારી પતિનું ઢીમ ઢાળી દીધા બાદ તેની લાશને ઘરની પાછળ દફનાવવાની કોશીશ કરી હોવાનુ બહાર આવ્યુ છે.

કપડવંજ તાલુકાના વરઘરા ગામે રહેતા મૂકેશભાઇ પરમારે હીનાબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા.પરંતુ બંને વચ્ચે કોઇને કોઇ કારણે ઝઘડાઓ થતા હતા. વળી પતિ તેની પત્નીના ચારિત્ર અંગે વ્હેમ રાખતો હોવાનુ પણ બહાર આવ્યુ છે. આજ રોજ ફરી પતિ-પત્ની વચ્ચે કોઇ બાબતને લઇ અણબનાવ થયો હતો.પરંતુ દર વખતની જેમ આ વખતે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઇ હતી.જેમાં પત્ની હીનાબેને પોતાના પતિને માથામાં લાકડાના ડંડાથી મારમારતા ગંભીર ઇજાઓ પહોચવાના કારણે તેમનુ મૃત્યુ નિપજયુ હતુ. વળી પત્નીએ પતિની લાશનો નાશ કરવા માટે પોતાના ઘરની પાછળ લાશને દફનાવવા માટે ખાડો ખોદ્યો હોવાનુ પણ બહાર આવ્યુ છે. આ બનાવ અંગે રસીકભાઇ મોહનભાઇ પરમારે કપડવંજ રૂરલ પોલીસ મથકે હીનાબેન મૂકેશભાઇ પરમાર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે કપડવંજ રૂરલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(4:38 pm IST)