Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

નડિયાદ તાલુકાના ફતેપુરા ગામની સીમમાં સલુણના યુવકને ઢોરમાર મારી હત્યા કરવામાં આવતા અરેરાટી મચી જવા પામી

નડિયાદ : નડિયાદ તાલુકાના ફતેપુરા ગામની સીમમાંથી પસાર થતી કેનાલ નજીક સલુણ વતીપુરા વિસ્તારમાં રહેતા એક યુવકને એક શકદાર શખ્સે રાત્રિના બોલાવી બાઈક પર લઇ ગયો હતો. જ્યાં આ શખ્સે યુવકને કોઈ અગમ્ય કારણોસર લાકડાના ડંડાથી મુઢ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે નડિયાદ રૂરલ પોલીસે શકદાર શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નડિયાદ તાલુકાના સલુણ વતીપુરા સીમમાં દિનેશભાઈ રઈજીભાઈ ગોહેલ પોતાના પરિવાર સાથે રહે છે. પોલીસમાં આપેલી રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓના ભાઈ રાજુભાઈ ગોહેલ (ઉમર વર્ષ ૨૫) ને ગતરાત્રીના સલુણ સીમમાં રહેતો ગુણવંત ઉર્ફે ભુરીયો કાંતિભાઈ પરમાર નહેર પર બોલાવી પોતાની બાઇક પર બેસાડી ફતેપુરા સીમમાંથી પસાર થતી કેનાલ નજીક લઈ ગયો હતો. જ્યાં ગુણવંત ઉર્ફે ભુરીયા એ રાજુભાઈ ને કોઈ અગમ્ય કારણોસર લાકડાના ડંડાથી મુઠ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર રીતે ઘવાયેલા રાજુભાઈનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. દરમિયાન મોડી રાત સુધી રાજુભાઈ ઘરે ન આવતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન સવારે ફતેપુરા સીમ કેનાલ નજીક એક યુવકની બિનવારસી લાશ પડી હોવાની જાણ પરિવારજનોને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં મરણ જનાર રાજુભાઈ ગોહિલ હોવાનું માલુમ પડયું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ દિનેશભાઇએ નડિયાદ રૂરલ પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લાશનું ઇન્કવેસ્ટભરી લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી.

(6:36 pm IST)