Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

વડોદરાના ખાસવાડી સ્મશાન બ્રિજ વિસ્તારમાં પ્લાસ્ટીકની થેલીમા નવજાત બાળક જીવતી હાલતમાં મળી આવતા નિષ્ઠુર માતા પર ભારે ફીટકાર

સયાજી હોસ્પીટલ ખાતે મુસ્લિમ પરિવાર પહોચતા બાળક પોતાના કુટુંબનું હોવાનો દાવો કર્યોઃ પોલીસે પુછપરછ કરી તપાસ હાથ ધરી

વડોદરા તા. ર૦ : વડોદરાના સ્મશાન બ્રિજ વિસ્તારમાં નવજાત જીવીત બાળક મળી આવ્યુ છે ૧૦૮ને ફોન કરતા સયાજી હોસ્પીટલ ખાતે બાળકને સારવાર હોસ્પીટલ ખાતે બાળકને સારવાર અર્થે ખસેડાયુ હતું બાળક મુસ્લિમ પરિવારનું હોવાથી પોલીસે પુછપરછ કરી તપાસ હાથ ધરી છે.

શહેરના ખાસવાડી સ્મશાનના બ્રિજ ઉપરથી આજે સવારે કોઈક એ ત્યજી દીધેલું નવજાત શિશુ જીવિત હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. કાળજાના કટકા જેવા નવજાત દિકરાના દેહને આમ પોતાનું પાપ છુપાવવા કે અન્ય કારણોસર ત્યજી દઈને મોં છુપાવતી માતા સામે લોકોએ ભારે ફીટકારની લાગણી વરસાવી હતી.

મા તે મા બીજા બધા વગડાના વા, જનનીની જોડ સખી નહી જડે રે લોલ, સહિતની અનેક કહેવતો માતા પર બનાવવામાં આવી છે. પોતે ભૂખે સુઈને દીકરાના મોઢામાં કોળિયો મુકવાની વાતો નવી નથી. પરંતુ આજના સમયમાં કેટલાક નિષ્ઠુર લોકો કહેવતને નિરર્થક સાબિત કરતા હોય તેવું લાગી રહ્યું છે. આવા લોકો જાણે કે, આ કહેવતોનો ખરો અર્થ સમજતા ન હોય તેમ માતૃત્વની હત્યા કરતા હોય તેવી ઘટનાઓને અંજામ આપે છે. કળિયુગની જનેતા નવજાત શિશુને તેજી દેવામાં જરાય પણ વિચાર કરતા નથી.

 તાજેતરમાં નવજાત શિશુ હોય કે પછી ભ્રુણ હોય તેને ત્યજી દેવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે આવો વધુ એક બનાવ શહેરના ખાસવાડી સ્મશાન વિસ્તારમાં જોવા મળ્યો છે. વિશ્વામિત્રી નદીને જોડતા નાળાના બ્રિજ ઉપર કપડા અને પ્લાસ્ટિકની થેલીમાં લપેટાયેલું નવજાત શિશુ જીવીત હાલતમાં મળી આવ્યું છે. નજીકમાં કામ કરતો વ્યક્તિ ત્યાં લઘુશંકાએ પહોંચતા થેલીમાંથી બાળકના રડવાનો અવાજ આવતા તે ચોકી ઉઠ્યો હતો અને થેલી ખોલી જોતા જીવિત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું. જેથી તેણે તુરંત 108 એમ્બ્યુલન્સને ફોન કરતા 108ની ટીમ ઘટના સ્થળે દોડી જાઇ પ્રાથમિક સારવાર આપી હતી. હાડ થીજાવતી ઠંડીમાં આ પ્રકારના કૃત્યથી નારાજ લોકોએ ભારે ફિટકાર વરસાવી છે. નવજાત શિશુ જીવિત મળી આવતા પરીવારજનો સામે આવ્યા છે. 

તો બીજી તરફ ગણતરીની મિનિટોમાં સયાજી હોસ્પિટલ ખાતે નવજાત શિશુ પોતાના પરિવારનું હોવાના દાવા સાથે મુસ્લિમ પરિવાર પહોંચ્યો હતો. જ્યાં તેમણે કહ્યું હતું કે બે દિવસ બાદ નવજાત શિશુને મૂકી જનાર દીકરીના મારા દીકરા સાથે લગ્ન છે. કોઈક કારણોસર આ પગલું ભર્યું છે. હાલ અમે નવજાત શિશુ મેળવવા માટે આવ્યા છીએ. હાલ પોલીસે પરિવારજનોની પૂછતાજ શરૂ કરી તલસ્પર્થી તપાસ હાથ ધરી છે.

જોકે સમયસર પોલીસ કંટ્રોલ રૂમને જાણ થતા જ કારેલીબાગ પોલીસને સી ટીમને વર્ધી મળી હતી અને ગણતરીની ત્રણ જ મિનિટમાં સી ટીમ સ્થળ પર પહોંચી બાળકને એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર સાથે ખસેડ્યું હતું. જો બાળક વધુ સમય ત્યાં પડ્યું હોત તો જંગલી જાનવર અથવા તો કુતરાનો શિકાર બનત તેવા ચોક્કસ છે. પરંતુ સમગ્ર મામલે પોલીસની સી ટીમને અભિનંદન આપો તેટલા ઓછા છે.

(5:37 pm IST)