Gujarati News

Gujarati News

News of Sunday, 16th January 2022

દહેગામની જીઆઈડીસીમાં આવેલ હરિ ઓમ ટિમ્બર વૂડ વર્કસના ગોડાઉનમાં આગથી ભારે નુકશાન

અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી: અંદાજે 2 લાખ લીટર પાણીનો વપરાશ કરાયો હતો. જોકે, હજી સુધી આગ લાગવાનુ કારણ જાણવા મળ્યુ નથી.

અમદાવાદ :વાસી ઉત્તરાયણની મધરાતે અમદાવાદમા ફરી એક આગનો બનાવ બન્યો હતો. દહેગામની જાક gidc માં આવેલ એક ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. મધરાતે બનેલા બનાવમાં લાકડાનું ગોડાઉન ભસ્મીભૂત થઈ ગયુ છે. જોકે, અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. આગમાં કોઈ જાનહાનિ  થઈ નથી.

વાસી ઉત્તરાયણની મોડી રાત્રે 3.23 કલાકે ફાયર વિભાગને આગનો કોલ મળ્ઓ હતો. રસિક પટેલ દહેગામની જીઆઈડીસીમાં હરિ ઓમ ટિમ્બર વૂડ વર્કસ નામે લાકડાનુ ગોડાઉન ધરાવે છે. ત્યારે મધરાત્રે લાકડાના સ્ક્રેપમાંથી દરવાજા બનાવવાના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. જેને પગલે ફાયર વિભાગનો કાફલો દોડતો થયો હતો.

આગ બુઝાવવા માટે વાહનો તથા સ્ટાફ પહોંચી ગયો હતો. 4 ટેન્કર, 6 ગજરાજ, 1 ડીવીઝનલ ઓફિસર, 2 સ્ટેશન ફાયર ઓફિસર, 1 સબ ઓફિસર મળીને કુલ 35 નો સ્ટાફ આગ બૂઝવવાની કામગીરીમાં લાગ્યો હતો. જોકે, આગ જલ્દી જ કાબૂમાં આવી હતી. આગમાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી.

આગને કારણે ગોડાઉનને ભારે નુકસાન થયુ હતું. લાકડાની સ્ક્રેપ પાટીઓ, ફર્નિચર પ્લાય, ફિનિશ ગૂડ્સ, દરવાજા, વૂડ પેલેટ્સ વગેરે આગમાં બળીને ખાખ થયુ હતું. વોટર રીલે કરીને 4 જગ્યાએથી પાણીની લાઈનો બનાવી આગને કાબુમા લેવામા આવી હતી. લાકડાનાં ગોડાઉનમાં‌ લાગેલી આગ બુઝાવવા માટે અંદાજે 2 લાખ લીટર પાણીનો વપરાશ કરાયો હતો. જોકે, હજી સુધી આગ લાગવાનુ કારણ જાણવા મળ્યુ નથી.

(1:04 pm IST)