Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાર ટ્રેનોમાં આવેલા યાત્રીકોમાંથી વધુ 41 કોરોના પોઝિટિવ કેસ મળ્યા

રવિવારે રાજધાની એક્સપ્રેસને પાછળ છોડી હાવરા એક્સપ્રેસમાં આવેલા મુસાફરોમાં 17 કોરોના પોઝીટીવ કેસ નીકળ્યા

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા આજે સતત સાતમા દિવસે પણ ટ્રેન મારફતે અમદાવાદ આવતાં મુસાફરોનું ટેસ્ટીંગ ચાલુ રાખ્યું હતું. આજના દિવસે 2188 મુસાફરોના ટેસ્ટ કર્યા હતા. તેમાંથી 41 કેસો પોઝિટિવ મળ્યા હતા  જેમા સૌથી વધુ હાવરા એક્સપ્રેસમાં આવેલા 17 કોરોના પોઝિટિવ કેસો  નીકળ્યા હતા. આમ છેલ્લાં છ દિવસથી કોરોના પોઝીટીવ કેસમાં અગ્રેસર રહેલી અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસને બ્રેક વાગી ગઇ હતી. અને આજે બીજા સ્થાને પહોંચી ગઇ હતી. રાજધાની એક્સપ્રેસમાં કોરોનાના કેસો 16 મળી આવ્યા હતા.

અમદાવાદ શહેરમાં નોવેલ કોરા વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટેસ્ટીંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝીટીવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતીત થતો હતો. બીજીતરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટીંગની કામગીરી હાથ ધરી હતી.

 

આજે એટલે રવિવારે કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવેલી ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા 467 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 4 પોઝિટિવ કેસો મળ્યા હતા. તે જ રીતે રાજધાની સ્પેશ્યલ ટ્રેનમાં આવેલા 783 પ્રવાસીઓમાંથી 16 અને મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 458 પ્રવાસીઓની ચકાસણીમાં 4 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા.

જયારે આજથી અમદાવાદ આવેલા હાવરા એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા 480 પ્રવાસીઓમાંથી 17 પોઝિટિવ કેસો મળ્યા હતા. આમ સરવાળે કુલ 2188 મુસાફરોનું આજે દિવસ દરમિયાન ટેસ્ટીંગ કરાયું હતું. જેમાં 41 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. આ મુસાફરોને મેડિકલ ટીમ દ્રારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. તેમ જ તેઓને જરૂરી તબીબી સારવાર અર્થે કોવીડ કેર સેન્ટર/ કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગામી સમયમાં પણ મોટાપાયા પર વિવિધ સ્થળોએ ટેસ્ટીંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.

(8:23 am IST)