Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

રાજ્ય સરકાર એક્શન મોડમાં : ખંભાતમાં રામનવમીના દિવસે થયેલી જૂથ અથડામણ બાદ શહેર પીઆઈ એમ.જે. ચૌધરીને લિવ રિઝર્વમાં મૂકી દેવાયા

શહેરના નવા પોલીસ પીઆઈ તરીકે આર.એન.ખાંટની નિયુક્તિ કરાઈ : સમગ્ર કેસની તપાસ હવે SIT કરશે

ખંભાત : શહેરમાં રામનવમીના દિવસે થયેલી જૂથ અથડામણ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. આ સાથે ખંભાત શહેરના પીઆઈની બદલી કરવામાં આવી છે. શહેરના પીઆઈ એમ.જે. ચૌધરીને લિવ રિઝર્વમાં મૂકી દેવાયા છે. તેમજ નવા શહેર પોલીસ પીઆઈ તરીકે આર.એન.ખાંટની નિયુક્તિ કરાઈ છે.

જ્યારે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકના પીઆઇ તરીકે કે. કે. દેસાઈને ચાર્જ આપવામાં આવ્યો છે. આણંદ જિલ્લાના ખંભાતમાં રામનવમી થયેલી જુથ અથડામણમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

આણંદમાં રામ નવમીના દિવસે શક્કરપુરામાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, રામનવમીની શોભાયાત્રાની મંજૂરી મળ્યા બાદ જ આ હિંસા ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ હિંસામાં 3 મૌલવી અને અન્ય બે શખ્સોએ આ ષડયંત્ર ઘડ્યું હતુ. આ ષડયંત્રને પાર પાડવા માટે બહારથી લોકોને બોલાવવામાં આવ્યા હતા. જેથી સમગ્ર કેસની તપાસ હવે SIT કરશે.ખંભાત હિંસા કેસના આરોપીઓને રિમાન્ડ પર મોકલાયા છે. 9 આરોપીઓના કોર્ટે આગામી 16 એપ્રિલ બપોર સુધી એટલે કે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

જેમાં ખંભાતમાં થયેલી હિંસા અંગે ગુજરાત પોલીસે મોટા ખુલાસા કર્યા છે. શોભાયાત્રા પર હુમલા બાદ પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા..પરંતુ કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ હુમલાનું કાવતરું કોના ઈશારા પર રચાયું. હુમલાના કાવતરામાં અન્ય કોઇ રાજ્યના લોકો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરશે.

(12:26 am IST)