Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

પેટ્રોલના ભાવમાં સતત વધારો થતા ઇલેકટ્રીક વાહનોની ખરીદી વધીઃ 2021-22ના વર્ષમાં 4.29 લાખ ઇલેકટ્રીક વાહનો વેંચાયા

ગત વર્ષની સરખામણીએ વાહન વેંચાણમાં 3 ગણો વધારો

અમદાવાદ: પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને પર્યાવરણને લઇ લોકોમાં આવેલી જાગૃતતાને કારણે લોકો ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી તરફ વળ્યાં છે. હાલમાં જ આવેલા ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ્સ ડીલર્સ એસોસિયેશનના આંકડા મુજબ, 2021-22 માં 4. 29 લાખ ઇલેક્ટ્રિક વાહનો વેચાયા છે. જે ગત વર્ષની સરખામણીએ ત્રણ ગણાનો વધારો બતાવે છે. વર્ષ 2020-21 માં 1. 34 લાખ ઇલેક્ટ્રિક વાહનો વેચાયા હતા, જયારે કે 2019-20 માં આ સંખ્યા 1. 68 લાખ પર પહોંચી હતી.

ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદનાર નિખિલ શાહે જણાવ્યું કે, પેટ્રોલના હાલના ભાવ મુજબ એક કિલોમીટર દીઠ 3 રૂપિયાનો ખર્ચ થાય છે. જયારે તેમણે ખરીદેલા ઇલેક્ટ્રિક સ્કૂટરનો કિલોમીટર દીઠ ખર્ચ માત્ર 15 થી 20 પૈસા જ આવે છે. કારની ખરીદીનો ખર્ચ પણ કિલોમીટર દીઠ 1 રૂપિયો જ થાય છે.

ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં સૌથી મોટો ઉછાળો ટૂ વહીલરની ખરીદીમાં આવ્યો છે. આ વર્ષે 2. 31 ઇલેક્ટ્રિક ટુવ્હીલર વેચાયા છે. પાછલા વર્ષે તો માત્ર 41, 046 ટુવ્હીલર વાહન જ વેચાયા હતા. ઇલેક્ટ્રિક ફોર વ્હીલરની વાત કરીએ તે, એક વર્ષ પહેલા માત્ર 4984 ફોર વ્હીલર વેચાયા હતા. જેનો આંકડો આ વર્ષે વધીને 17802 પહોંચ્યો છે.

અમદાવાદમાં પણ ઇલેક્ટ્રિક વાહનની ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે. આરટીઓ અધિકારી ઋતુરાજ દેસાઈએ જણાવ્યું કે, વર્ષ 2020 માં માત્ર 344 ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું. આંકડો 2021 માં વધીને આખા વર્ષમાં 1495 થયો છે. જયારે 2022 ના પ્રથમ 4 મહિનામાં જ 1468 લોકોએ ઇલેક્ટ્રિક વાહનો ખરીદ્યા છે. 

બજેટમાં મળી હતી છૂટ

2022 ના બજેટમાં સરકારે બેટરી સ્વેપિંગ પોલિસી જાહેર કરી છે. આ અંતર્ગત હવે લોકોએ બેટરી ચાર્જ કરવાની ઝંઝટ ઓછી થશે. આ પોલિસી દ્વારા ઇલેક્ટ્રિક વાહનોમાં બેટરી બદલવા માટેની છૂટ આપવામાં આવશે. એટલે કે તમારે કોઈપણ ચાર્જિંગ સ્ટેશન પર જવાની જરૂર નહીં પડે. જો તમે ઈચ્છો, તો તમે તમારા વાહનમાં ચાર્જ થયેલી બેટરી બદલી શકો છો. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કહ્યું હતું કે, સરકાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માંગે છે.

(5:45 pm IST)