Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

કોંગ્રેસના અનેક નેતાઓ પક્ષથી નારાજ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે: જ્યારે કોંગ્રેસના વધુ એક નેતા પક્ષથી નારાજ હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે અને તેમનું નામ કામિનીબા રાઠોડ છે: પક્ષ દ્વારા તેમને મનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે

દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને એક પછી એક ફટકાઓ પડી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના અનેક નેતાઓ પક્ષથી નારાજ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. થોડાં દિવસ પહેલા કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર ભાજપની સાથે જોડાયા હતા.

તેમના પહેલા અનેક કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ તેમજ કાર્યકર્તાઓ ભાજપની સાથે જોડાયા છે. જ્યારે કોંગ્રેસના વધુ એક નેતા પક્ષથી નારાજ હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે અને તેમનું નામ કામિનીબા રાઠોડ છે. તેઓ દહેગામના પૂર્વ ધારાસભ્ય છે અને તેઓ હવે પક્ષથી નારાજ થયા હોવાના કારણે પક્ષ દ્વારા તેમને મનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.

પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પાર્ટીમાં વહાલા-દવલાની નીતિના કારણે ઘણા કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે. કાર્યકર્તાઓને પૂછ્યા વગર પાર્ટીમાં નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું હતું કે, પાર્ટીમાં તેમના દ્વારા જે રજૂઆત કરવામાં આવે છે તેને ધ્યાન પર લેવામાં આવતી નથી. હવે રજૂઆતોને ધ્યાન પર નહીં લેવામાં આવે તો તેઓ પાર્ટી છોડવા પણ તૈયાર થશે.

દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને પાર્ટી સામે 24 કલાકનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે. તેથી પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા તેમને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. કોંગ્રેસના નેતા સી.જે. ચાવડાએ કોંગ્રેસ જિલ્લા કાર્યાલય ખાતે પાર્ટીથી નારાજ થયેલા કામિનીબાને મનાવવાનો પ્રયાસ કર્યો છે. કામિની બા રાઠોડની માગણી છે કે જે કાર્યકર્તાઓ કોંગ્રેસ પ્રત્યે વફાદાર છે અને લાયક છે તેમને સંગઠનમાં સ્થાન આપવામાં આવે. તો બીજી તરફ કામિનીબાની રજૂઆતને ઉપરના લેવલે પહોંચાડવાની બાહેંધરી સી.જે. ચાવડા દ્વારા આપવામાં આવી છે.

(12:09 am IST)