Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

બે દિવસ અગાઉ ગૂમ થયેલ ઠાસરાના કિશોરની ઔરંગપુરા કેનાલમાંથી ભેદી સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર

ઠાસરા:શહેરનો કિશોર બે દિવસ પહેલાં ગુમ થયો હતો. આ કિશોરની આજે સવારે ઔૈરંગપુરા કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવેલ છે. આ કિશોરની કોઈ અજાણ્યા ઈસમોેએ હત્યા કરી લાશને ફેંકી દીધી હોવાનું જણાઈ આવેલ છે.આ બનાવ અંગે ઠાસરા પોલીસે અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ઠાસરા ખેતીવાડી કોલોની સામે તાજપીરનગરીમાં મહંમદરફીક ઐયુબમીયાં ખલીફા પરિવાર સાથે રહે છે.વીરપુરમાં રહેતા મહંમદહુસેન ખલીફાનો દીકરો સાહિલહુસેન મામા મહંમદરફીકના ઘરે રહેતો હતો. મહંમદ રફીકર હેર કંટીગનો ધંધો કરી પરિવારનું જીવન નિર્વાહ કરતો હતો. તેમની સાથે તેમનો ભાણો પણ હેર કટીંગનો કામ કરતો હતો. ગત તા.૧૦-૧૨-૧૭ ના રાત્રે સાહિલહુસેન રહસ્મય રીતે ગુમ થયો હતો. જેથી મહંમદરફીક તેમજ તેના સંગા-સંબંધીઓએ ગુમ થયેલ કિશોરની શોધખોળ કરી હતી. પરંતુ તેનો કોઈ પત્તો મળેલ નહીં આ દરમિયાન આજે સવારે ઠાસરા નજીક ઔરંગપુરા સીમમાંથી પસાર થતી કેનાલમાંથી લાશ મળી આવી હતી. જેની જાણ થતાં લોકોના ટોળે-ટોળાં ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ બનાવની જાણ થતાં ઠાસરા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ લાશને બહાર કઢાવી હતી. આ અંગેની જાણ મૃતકના મામાને થતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને આ લાશ પોતાના ભાણા સાહિલહુસેન મહંમદહુસેન ખલીફા (ઉં.વ.૧૭)ની હોવાનું ઓળખી બતાવી હતી.
આ કિશોરને કોઈ અજાણ્યા ઈસમોએ કોઈ કારણસર તેની છાતી તેમજ બંને હાથ ઉપર ફેક્ચર કરી તથા ગળાના ભાગે ગંભીર ઈજા કરી મોત નિપજાવ્યું હોવાનું જણાઈ આવેલ છે. આ કિશોરના શરીર ઉપર ડામ દીધાના નિશાન પણ જોવા મળેલ છે. આ કિશોરની કોણે હત્યા કરી ? કયા કારણસર હત્યા કરવામાં આવી ? તે અંગે તરેહતરેહની ચર્ચાઓ થઈ રહી છે. આ હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે મહંમદરફીક ઐયુહમીયાં ખલીફાની ફરિયાદ આધારે ઠાસરા પોલીસે અજાણ્યા ઈશમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:36 pm IST)